એનિમલની ટીકા કરવા બદલ સંજય ગુપ્તાએ જાવેદ અખ્તરને કહ્યું કે…


- પ્રખ્યાત પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે તો ફિલ્મની સફળતાને ખતરનાક ગણાવી હતી. આ મામલે ડિરેક્ટર સંજય ગુપ્તાએ જાવેદ અખ્તર પર વળતો પ્રહાર કર્યો છે અને સંદીપ રેડ્ડીને સમર્થન આપ્યું છે
મુંબઈ, 25 જાન્યુઆરીઃ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ‘ એ કમાણીની બાબતમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એક્ટિંગને ઘણી વાહવાહી મળી હતી, પરંતુ, આ વખાણની સાથે ફિલ્મને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. વિવાદો થયા અને ફિલ્મને મહિલા વિરોધી ગણાવવામાં આવી. પ્રખ્યાત પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે તો ફિલ્મની સફળતાને ખતરનાક ગણાવી હતી. આ મામલે ડિરેક્ટર સંજય ગુપ્તાએ જાવેદ અખ્તર પર વળતો પ્રહાર કર્યો છે અને સંદીપ રેડ્ડીને સમર્થન આપ્યું છે.
એનિમલના સમર્થનમાં કહી આ વાત
‘એનિમલ’ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ સવાલો અને વિરોધના અવાજો વચ્ચે એવા અવાજો પણ ઉઠ્યા હતા જેમણે ફિલ્મ અને સંદીપ રેડ્ડી વાંગાને સમર્થન આપ્યું હતું. કાંટે, જઝબા અને કાબિલ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા નિર્દેશક સંજય ગુપ્તા પણ સમર્થકો સાથે જોડાયા છે. સંજય ગુપ્તાએ સંદીપ રેડ્ડીની પ્રશંસા કરતા કહ્યું કે તેણે ઘણા લોકોને અસહજ કરી દીધા છે, જે કદાચ ફિલ્મ માટે કામ આવ્યું. સંજય ગુપ્તાએ વધુમાં કહ્યું કે જાવેદ અખ્તર દ્વારા ‘એનિમલ’ને લઈને કરવામાં આવેલી ટીકા સંપૂર્ણ રીતે યોગ્ય નથી. દિગ્દર્શકે વધુમાં કહ્યું કે અનુભવી પટકથા લેખક હજુ પણ ગુલાબી રંગના ચશ્મા દ્વારા વિશ્વને જુએ છે.
આપણે કામસૂત્રની ભૂમિમાંથી આવીએ છીએ
તેમણે આગળ કહ્યું, આપણે કામસૂત્ર અને ખજુરાહોની ભૂમિમાંથી છીએ અને આપણે સેક્સ એજ્યુકેશન વિશે વાત કરતા નથી. આપણે સ્વાભાવિક રીતે જ દંભી છીએ. દિગ્દર્શકે વધુમાં કહ્યું કે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને સાથેની તાજેતરની વાતચીતમાં તેમને અહેસાસ થયો કે ‘એનિમલ’એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદલી નાખી છે. જાવેદ અખ્તરની વાત પર સંજય ગુપ્તાએ કહ્યું કે તેઓ હજુ પણ ગુલાબી રંગના ચશ્માથી દુનિયાને જોવે છે. તેઓ સ્વીકારતા નથી કે સમાજ બદલાઈ ચુક્યો છે. આપણે એ લોકો નથી જે 10 વર્ષ પહેલા હતા. આપણામાં એવી કરુણા નથી. આપણી પાસે એટલી ધીરજ પણ નથી.
આ પણ વાંચોઃ અચાનક અંધારું થતાં થોડીવાર પછી અંધારામાં કેમ દેખાવા લાગે છે ?