અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા પાંચ MLAએ શપથ લીધા, ભાજપનું સંખ્યાબળ 161 થયું

અમદાવાદ, 11 જૂન 2024, ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા,માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી, ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ચિરાગ પટેલ અને વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા. હવે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ 161 થયું છે અને કોંગ્રેસ પાસે માત્ર 13 જ ધારાસભ્યો રહ્યાં છે.

કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિક્રમી 156 બેઠકો મળી હતી. જેમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સિમિત રહી ગઈ હતી. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો પર વિજય થયો હતો. આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતાં. જો કે હજી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ નથી. ત્યાર બાદ ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, વિજાપુરથી સી.જે.ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયાં હતાં. વિધાનસભામાં 6 બેઠકો ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ હતી.

અર્જુન મોઢવાડિયા 116808 મતોની લીડથી ચૂંટણી જીત્યા
વિધાનસભાની પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પોરબંદરથી ભાજપના અર્જુન મોઢવાડિયા 133163 મત મેળવીને 116808 મતોની લીડથી ચૂંટણી જીત્યાં છે.વિજાપુર બેઠકની વાત કરીએ તો ભાજપના સી.જે ચાવડાને 100641 મત મળ્યાં છે. સી.જે. ચાવડા 56228 મતે ચૂંટણી જીત્યા હતાં. માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણીને 82017 મત મળ્યા હતાં અને તેઓ 31016 મતે ચૂંટણી જીતી ગયાં હતાં. એજ રીતે ખંભાત બેઠક પર ભાજપે કોંગ્રેસના ચિરાગ પટેલને ટીકિટ આપી હતી.ચિરાગ પટેલને 88457 મત મળ્યા હતાં. ચિરાગ પટેલ 38328 મતની લીડથી ચૂંટણી જીતી ગયાં હતાં. વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતાં. તેઓ આ બેઠક પર ભાજપની ટીકિટ પર ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલ સામે 82108 મતની લીડથી જીતી ગયાં હતાં.

આ પણ વાંચોઃમોદી સરકાર 3.0 નું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી થઈ શકે છે શરુ, 20 જૂને લોકસભા અધ્યક્ષ માટે ચૂંટણી

Back to top button