ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MUDA કૌભાંડમાં છેવટે કર્ણાટકના સીએમ વિરુદ્ધ FIR દાખલઃ સિદ્ધારમૈયાની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ

બેંગલુરુ, 27 સપ્ટેમ્બર: કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પર કાનૂની ગાળિયો બરાબર ફસાઈ રહ્યો છે. MUDA જમીન કૌભાંડમાં તેમના વિરુદ્ધ આજે FIR દાખલ થઈ ગઈ છે. કર્ણાટક લોકાયુક્ત પોલીસે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ FIR નોંધી છે. લોકાયુક્ત પોલીસે MUDA કેસમાં સિદ્ધારમૈયા અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે.

અરજદાર સ્નેહમોયી કૃષ્ણાની અરજી પર ચુકાદો આપતાં લોક પ્રતિનિધિ અદાલતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે તેના નિર્ણયમાં કર્ણાટક લોકાયુક્તને આ મામલાની તપાસ કરવા અને ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ આજે મૈસુર લોકાયુક્ત પોલીસે મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

જમીન કૌભાંડના આ કેસમાં સીએમને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમનાં પત્ની પાર્વતીને આરોપી નંબર ટુ બનાવવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીના સાળા મલ્લિકાર્જુન સ્વામીને આરોપી નંબર 3 અને દેવરાજને આરોપી નંબર 4 બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પર આરોપ છે કે તેમણે તેમની પત્નીના નામે મૈસુરમાં MUDA સાઇટ ફાળવવા માટે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. અરજદારે આજે સેશન્સ કોર્ટમાં વધુ એક રિટ દાખલ કરી છે અને આ મામલે સીબીઆઈને તપાસ કરવા અપીલ કરી છે.

દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે દાવો કર્યો હતો કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કેસમાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે વિપક્ષ તેમનાથી ડરે છે. આ સાથે સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની સામે આ પહેલો રાજકીય કેસ છે. મુખ્ય પ્રધાને પુનરોચ્ચાર કર્યો હતો કે અદાલતે આ કેસમાં તેમની સામે તપાસના આદેશ આપ્યા પછી પણ તેઓ રાજીનામું આપશે નહીં કારણ કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે આગ્રહ કર્યો કે તે આ લડાઈ કાયદાકીય રીતે લડશે. જોકે રાજકીય નિષ્ણાતો માને છે કે, આ કેસ હવે સિદ્ધારમૈયાની રાજકીય કારકિર્દીને કાયમ માટે નહીં તો થોડા સમય માટે બરબાદ કરી શકે છે.

કેન્દ્ર સરકાર પર CBI, ED અને દેશભરના વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલના કાર્યાલય જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા, તેમણે કહ્યું કે વહીવટમાં રાજ્યપાલની ‘દખલગીરી’ના મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે ચર્ચાની જરૂર છે.

આ પણ વાંચોઃ એનસીપી નેતાનાં પત્નીએ ડૉ. અબ્દુલ કલામ અને ઓસામા બિન લાદેનની સરખામણી કરી

Back to top button