T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

છેવટે હાર્દિક પંડ્યાની T20 World Cup માટેની તારીખ જાહેર થઇ

Text To Speech

28 મે, મુંબઈ: વ્યક્તિગત તકલીફોને કારણે આજકાલ સમાચારમાં રહેનાર ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાની T20 World Cup માટેની તારીખ જાહેર થઇ ગઈ છે. હાલમાં હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટાનકોવિક વચ્ચે છૂટાછેડા થશે તે પ્રકારના સમાચાર મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં હોટ પ્રોપર્ટીની જેમ વેંચાઈ રહ્યા છે.

આ ઉપરાંત આ વર્ષે હાર્દિક પંડ્યા જે ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો હતો અને ટીમનો કેપ્ટન  પણ બન્યો હતો તેના માટે IPL પણ ભૂલી જવા જેવી ઘટના બનીને રહી ગઈ હતી. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને રહી હતી. આટલું ઓછું હોય તેમ હાર્દિક પંડ્યાનું વ્યક્તિગત ફોર્મ પણ અત્યંત કંગાળ રહ્યું હતું.

આવામાં છૂટાછેડાના સમાચાર હાર્દિક માટે અસહ્ય બની રહ્યા હોય તે સ્વાભાવિક છે. આથી જ હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની અંતિમ મેચ રમાયા બાદ કોઈ અજાણ્યા વિદેશી સ્થળે પહોંચી ગયો હતો. એવું જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યા ક્યાં ગયો છે તેની જાણ ફક્ત તેના પરિવારજનો અને BCCIના ઉચ્ચ અધિકારીઓને જ હતી.

આ દરમ્યાન કેપ્ટન રોહિત શર્મા સાથે ટીમના અનેક સભ્યો તેમજ રાહુલ દ્રવિડ અને અન્ય સપોર્ટ સ્ટાફ થોડા દિવસ અગાઉ જ ન્યૂયોર્ક જવા રવાના થઇ ગયો હતો. આ જૂથ સાથે હાર્દિક પંડ્યા નહોતો ગયો એથી તેની ગેરહાજરીએ પણ અનેક પ્રશ્નો ઉભા કરી દીધા હતા.

પરંતુ છેવટે હાર્દિક પંડ્યાની T20 World Cup માટેની તારીખ જાહેર થઇ ગઈ છે. જો BCCIના સૂત્રનું માનવામાં આવે તો હાર્દિક જે અજાણ્યા વિદેશી સ્થળે વેકેશન ગાળવા ગયો હતો ત્યાંથી ન્યૂયોર્ક જવા માટે તે ઓલરેડી નીકળી ચૂક્યો છે અને 30મી તારીખે તે ન્યૂયોર્ક પહોંચી જશે.

વિરાટ કોહલી પણ 30 તારીખે મુંબઈથી રવાના થશે અને 1 તારીખે ત્યાં પહોંચશે આથી તે અને હાર્દિક બંને બાંગ્લાદેશ સામે ભારતની એકમાત્ર વોર્મઅપ મેચ ગુમાવશે તે નક્કી છે.

ટીમ  ઇન્ડિયાનો બીજો બેચ સંજુ સેમસન અને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ વગર ન્યૂયોર્ક જવા માટે 25 તારીખે ઉપડી ગયો હતો. IPL જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો ખેલાડી અને આગામી વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે સામેલ થનાર રીંકુ સિંઘ પણ હજી ન્યૂયોર્ક જવા રવાના નથી થયો.

Back to top button