કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

આખરે જામનગરમાં નોંધાઈ રઝળતાં ઢોર મામલે માલિક સામે ફરિયાદ

Text To Speech

જામનગર શહેરમાં રઝડતા ઢોર મામલે આળશ ખંખેરીને બેઠા થયેલા જામ્યુકોના તંત્રએ આખરે દોઢ વર્ષે ઢોર માલિક સામે કોઇ એફઆરઆઈ નોંધાવી છે. રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાંથી પોતાના ઢોર છોડાવવાનો પ્રયત્ન કરી રહેલા બે શખ્સો સામે જામ્યુકો દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાઈકોર્ટના સખત વલણ બાદ દોઢ વર્ષે પ્રથમ વખત કાર્યવાહી

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રઝડતા ઢોર અંગે લાપરવાહ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સામે હાઈકોર્ટે સખ્ત વલણ અખત્યાર કરતાં તેમજ મીડિયાએ પણ પસ્તાળ પાડતા જામનગર મહાપાલિકા સહિતના તંત્રો રાતોરાત હરકતમાં આવ્યા છે. જામ્યુકોના તંત્રએ પણ શુક્રવારે રઝડતા ઢોરના માલિકો સામે એફઆઈઆર કરવાની સત્તા ત્રણ કર્મચારીઓને આપવામાં આવ્યા બાદ રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાં પકડીને રાખવામાં આવેલા ઢોરને જબરજસ્તી છોડાવવાનો પ્રયત્ન કરતા બે ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છેલ્લાં દોઢ વર્ષમાં ફોજદારી ફરિયાદની અનેક વખત ચેતવણી આપવામાં આવતી હતી. પરંતુ, ફરિયાદ એક પણ નોંધાવવામાં આવી ન હતી. દરમિયાન કમિશનરની સૂચનાથી શહેરમાં ઢોરનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ ઢોર માલિકોન સામે સખ્ત કાર્યવાહી કરવા છૂટો દૌર આપવામાં આવ્યા બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Back to top button