ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

સુરતમાં રોગચાળો વકર્યોઃ પાંચ દિવસમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત

સુરત, 11 એપ્રિલ 2024, શહેરમાં તાવની સાથે ઝાડા-ઊલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો અને તાવથી ત્રણ બાળકો સહિત પાંચનાં મોત થયાં છે. ગત રોજ ઝાડા-ઊલટીમાં સચિન વિસ્તારમાં રહેતા 2 વર્ષના બાળકનું અને ગોડાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનુ મોત નીપજ્યું હતું. ગત શનિવારે સચિન વિસ્તારમાં તાવની ફરિયાદ બાદ 6 મહિનાના બાળકનું, પાંડેસરા વિસ્તારની 5 વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીમાં અને કનકપુર વિસ્તારના 30 વર્ષના યુવકનું પેટમાં દુખાવાની ફરિયાદ સાથે મોત થયું હતું. સચિન જીઆઇડીસીમાં 2 વર્ષના બાળકનું ઝાડા-ઊલટીમાં મોત નીપજ્યું હતું.

પાંચ દિવસમાં ત્રણ બાળકો સાથે પાંચનાં મોત
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની જિતનના નાના પુત્ર વિષ્ણુને મંગળવારે રાત્રે ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં. જેથી બુધવારે સવારે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંથી સારવાર લીધા બાદ વિષ્ણુ સાથે ફરી ઘરે જતા તે રસ્તામાં અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સુરતના સચિનમાં 6 માસના વિરાટ નામના બાળકનું તાવમાં મોત નીપજ્યું હતું. શનિવારે બપોરે વિરાટ ઘરમાં અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પાંડેસરામાં 5 વર્ષીય ચેનસી નામની બાળકી ઘરમાં બેભાન થઈ ગઈ હતી.જેથી પરિવારજનો તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

ગોડાદરામાં પરિણીતાનું ઝાડા થતાં મોત
સુરતના ગોડાદરામાં પરિણીતાનું ઝાડા થતાં મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલ ગોપાલનગરમાં અમિત પાસવાન કાપડ માર્કેટમાં પેકિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમિતની પત્ની કલાવતીને મંગળવારે રાત્રે ઝાડા થયા હતા. જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે સવારે કલાવતીની તબિયત વધુ લથડી હતી. જેથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 9 દિવસમાં 1549 લોકો બેભાન થયા

Back to top button