સ્પોર્ટસ

આ 3 કારણોને લીધે રોળાઈ શકે છે ટીમ ઈન્ડિયાનું વિશ્ર્વકપ જીતવાનું સ્વપ્ન

Text To Speech

ટી-20 વિશ્ર્વકપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઈસીસીની આ મેગા ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ટી-20 વિશ્ર્વકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ કરશે. પરંતુ ટી20 વિશ્વકપમાં ત્રણ એવા કારણ છે જેના લીધે ભારતીય ટીમનું ટ્રોફી જીતવાનું સપનું રોળાય શકે છે. આવો એક નજર કરીએ આ કારણો પર..

1. ખરાબ બોલિંગ : પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ છે, જેના કારણે ટી-20 વિશ્ર્વકપ જીતવો હશે તો તેમાં સુધાર કરવો પડશે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના બોલર ડેથ ઓવર્સમાં વધુ રન આપે છે. હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિન એવા નામ છે, જેને જોતા લાગી રહ્યું છે કે ટી-20 વિશ્ર્વકપમાં બોલિંગ ભારત માટે ચિંતાનો વિષય છે. જો ભારતીય ટીમ ડેથ ઓવર્સ બોલિંગમાં સુધાર નહીં કરે તો ટી20 વિશ્વકપમાં મેચ જીતવી મુશ્કેલ બની શકે છે. ભારતની વિશ્વકપ ટીમમાં જે બોલરની પસંદગી થઈ છે, તેમાંથી કોઈ બોલર એવો નથી જે સતત 140+થી વધુની સ્પીડ પર બોલિંગ કરી શકે. ભારતને આ પણ ભારે પડી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફાસ્ટ બોલિંગનો દબદબો જોવા મળી શકે છે. ભારતીય સ્પીનર્સ રન રોકવામાં તો સફળ થાય છે પરંતુ વિકેટ ઝડપવી જરૂરી છે.

2. ખરાબ ફીલ્ડિંગ અને કેચ છોડવા : ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ અને કોચિંગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ રહી છે. ભારતીય ફીલ્ડરોએ મેદાન પર ઘણા કેચ છોડ્યા અને એક્સ્ટ્રા રન પણ આપ્યા છે. એશિયા કપ હોય કે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વિરુદ્ધ ટી-20 સિરીઝ હોય, જ્યાં ભારતીય ટીમે મહત્વના સમયે કેચ ડ્રોપ કર્યાં હતા. પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4 મેચમાં અર્શદીપે આસિફ અલીનો આસાન કેચ છોડી દીધો હતો. જે ભારતને ભારે પડ્યો અને ટીમ ઈન્ડિયા એશિયાકપમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે વર્ષ 2022માં ટી-20 ક્રિકેટમાં 25 ટકા કેચ ડ્રોપ કર્યાં છે.

3. જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાની ઈજા : જસપ્રીત બુમરાહનું આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. જસપ્રીત બુમરાહ પોતાની ધારદાર બોલિંગ માટે જાણીતો છે. તે ભારતના ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન સંભાળે છે. પરંતુ ઈજાને કારણે બુમરાહ ટી-20 વિશ્ર્વકપ રમવાનો નથી. જસપ્રીત બુમરાહની ખોટ ભારતને જરૂર પડવાની છે. તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટી-20 વિશ્ર્વકપમાં જોવા મળશે નહીં. જાડેજા પોતાની બેટિંગ, બોલિંગ ઉતરાંત એક મજબૂત ફીલ્ડર પણ છે. જાડેજા હંમેશા ત્રણેય ડિપાર્ટમેન્ટમાં મહત્વનું યોગદાન આપે છે. એટલે કે ટી-20 વિશ્ર્વકપમાં બુમરાહ અને જાડેજાની ગેરહાજરી ભારતને ભારે પડી શકે છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ગૌતમ અદાણીએ રૂ.65,000 કરોડનું નવું રોકાણ કરવાનું વચન આપ્યું

Back to top button