ગુજરાત

અમદાવાદમાં 14-15 મેના રોજ સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે ડોકટરોની હડતાળ, તમામ હોસ્પિટલો સંપૂર્ણપણે બંધ રહેશે

Text To Speech

અમદાવાદઃ શહેરમાં હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના સી ફોર્મ (રજિસ્ટ્રેશન) રિન્યુઅલ મુદ્દે હવે ડોકટરો સરકાર અને મમ્યુનિસિપલ કોર્પોરેશન સામે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસીએશન (AHNA) દ્વારા સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે 14 અને 15 મેના રોજ એમ શનિવાર- રવિવાર બે દિવસ હડતાળનું એલાન કર્યું છે. બે દિવસ સંપૂર્ણપણે હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોકટરો દ્વારા અવારનવાર રજુઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતાં છેવટે ડોક્ટરો હડતાળ કરશે. આ હડતાળના કારણે હજારો દર્દીઓને તકલીફનો સામનો કરવો પડી શકે છે. જેના માટે ડોકટરો માફી પણ માગી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થઈ રેલી ધરણા , “ફુટપાથ ઓપીડી” જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.

નિયમ ન બદલાય તો 900 હોસ્પિટલ બંધ થશે
AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, 2014 પહેલાં જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યો છે. સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે 400 હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે. નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જો આ નિયમ રહેશે તો આગળ જતાં 900 હોસ્પિટલ બંધ થશે. એટલે કે 50 હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે

AHNAના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં એક સાથે ફોમ ‘સી’ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ 1959થી 2021 સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપતા આવ્યા છે અને તેમનું સી ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. 2021 ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે. જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન , સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફિકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી. આ ઉપરાંત બી.યુ. ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે.

અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજીસ્ટ્રેશનની જરૂર નથી. રેસ્ટોરેન્ટ્સ માટે પણ આ નિયમને કોરાણે મૂકી મંજૂરી આપવામાં આવી છે. ફક્ત નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને જ આ કાયદો કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? અમોને અમારા ‘સી’ ફોર્મ રીન્યૂ કરી આપવામાં આવે એવી અમારી માગણી છે. આ બાબતે અમે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારને અસંખ્ય વાર રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી નિવારણ આવ્યું નથી.

Back to top button