ગુજરાત

અમદાવાદ : સરકાર હસ્તકના 81 તળાવોનો વિકાસ હવે કોર્પોરેશન કરશે

Text To Speech

અમદાવાદ શહેર માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અત્યાર સુધી રાજ્ય સરકાર હસ્તક રહેલા શહેર વિસ્તારના 81 તળાવો મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યા છે. હવેથી આ તળાવોનો વિકાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરની ચારેય દિશાઓમાં આવેલા તળાવોનો વિકાસ હવે કોર્પોરેશન કરશે

જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે. એટલે કે શહેરની ચારેય દિશાઓમાં આવેલા તળાવો હવે કોર્પોરેશન હસ્તક કરવામાં આવે છે.

આ તળાવોમાં શું વિકાસની કામગીરી કરવામાં આવશે ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગરપાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે 81 તળાવોનો વિકાસ કરશે. તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે. એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.

કોર્પોરેશન હવે 102 તળાવોને કરશે ડેવલોપ

અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15મા નાણાંપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે વધુ 81 તળાવો જે રાજ્ય સરકાર હસ્તકના છે અને એ.એમ.સી હદ વિસ્તારમાં આવેલા છે. તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગર પાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાને 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આના પરિણામે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે.

Back to top button