ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિવાળી પર ફટાકડા નહીં ફોડી શકે દિલ્હીવાસીઓ, AAP સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

  • સરકારે તમામ દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી છે

નવી દિલ્હી, 14 ઓકટોબર: દેશની રાજધાનીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા દિલ્હીની AAP સરકારે આજે સોમવારે મોટો નિર્ણય લીધો છે. શિયાળામાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આતિશી સરકારે આજથી એટલે કે સોમવારથી 1 જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે. જે અંગે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. સરકારે તમામ દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી છે.

 

દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધ્યું

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ શિયાળાની શરૂઆત પહેલા જ ગંભીર બની રહી છે. દશેરા પછી NCRમાં પ્રદૂષણનું સ્તર વધ્યું, દિલ્હી અને NCRના મોટા ભાગના પ્રમુખ શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને વટાવી ગયો. જેના કારણે હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

ગ્રેપનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં અમલમાં આવશે

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ની પેટા સમિતિની બેઠકમાં પ્રદૂષણની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના અમલીકરણ માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પ્રદૂષણના સ્તરમાં સુધારો નહીં થાય તો એક-બે દિવસમાં ગ્રેપના પ્રથમ તબક્કાનું પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

મંત્રી ગોપાલ રાયે કડક ચેતવણી આપી

દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાજધાનીના લોકોને કડક ચેતવણી આપતા કહ્યું કે, જે લોકો બાંધકામ અથવા અન્ય કોઈ માધ્યમથી ધૂળનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમની સામેની ઝુંબેશ સોમવારથી તેજ કરવામાં આવશે. કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં અને જે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ધૂળ વિરોધી અભિયાન હેઠળ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી ગ્રીન એપ પર ફરિયાદ કરવા અપીલ

આ સાથે ગોપાલ રાયે કહ્યું કે, “પ્રદૂષણ રોકવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.” તેમણે ધૂળ, વાહનો, કચરો સળગાવવા વગેરે અને અન્ય પ્રકારના પ્રદૂષણ વિશે માહિતી મળતાં દિલ્હી ગ્રીન એપ પર ફરિયાદ નોંધાવવાની અપીલ કરી હતી. આ એપ પર ફોટા પણ ઉમેરી શકો છો.

ગોપાલ રાયે રવિવારે શું કહ્યું?

દિલ્હી સરકારના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે રવિવારે કહ્યું હતું કે, રાજધાનીમાં દશેરાનો તહેવાર હોવા છતાં, લોકો સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છે અને સારી, સંતોષકારક અને મધ્યમ હવાની ગુણવત્તાવાળા દિવસોની સંખ્યા વધી રહી છે, જે પ્રદૂષણ વ્યવસ્થાપનમાં સુધારાની નિશાની છે.

આ પણ જૂઓ: દિવાળી અને છઠ્ઠ ઉપર પ્લેનની ટિકિટમાં ઘટાડો નોંધાયો, જાણો સર્વેમાં શું કારણ સામે આવ્યું

Back to top button