ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

‘દિલ્હીવાસીઓ સાથે છેતરપિંડી થઈ’ પૂર્વ મંત્રીએ સરકાર ઉપર ઉઠવ્યા સવાલ

  • રાજકુમાર આનંદે સીએમ કેજરીવાલને લખ્યો પત્ર
  • પોતાના રાજીનામાં અંગે આપી જાણકારી
  • સરકારની કામગીરી ઉપર મુક્યા ગંભીર આરોપો

નવી દિલ્હી, 12 એપ્રિલ : દિલ્હી સરકારમાં મંત્રી રહેલા રાજકુમાર આનંદે તાજેતરમાં જ તેમના મંત્રી પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમના રાજીનામાની જાણકારી આપી હતી. પત્રમાં રાજકુમાર આનંદે કેજરીવાલ સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.

‘દિલ્હીની જનતા સાથે છેતરપિંડી થઈ છે’

આનંદે પત્રમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. અમારા બે મંત્રીઓ જેલમાં છે, અમારા મુખ્યમંત્રી જેલમાં છે. અમારી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. મને નથી લાગતું કે સરકારમાં રહેવા માટે અમારી પાસે કોઈ નૈતિક તાકાત બાકી છે.

સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વધ્યો

તેમણે કહ્યું કે સૌથી મોટો વિશ્વાસઘાત અમારી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિલ્હીના લોકો સાથે થયો છે જેમણે આમ આદમી પાર્ટીને મોટી આશા સાથે સત્તામાં લાવ્યો જેથી કરીને દિલ્હીમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે. પરંતુ સત્તામાં આવ્યા બાદ આ પાર્ટી પણ ભ્રષ્ટાચારથી પોતાને બચાવી શકી નથી.

‘હું મારું નામ તેમના ભ્રષ્ટાચાર સાથે જોડવા માંગતો નથી’

આનંદે કહ્યું કે, પાર્ટીના મોટા નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે અને પાર્ટીના કાર્યકરો તડકામાં બેસે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર બસ ભરવાનું મશીન બની ગયા છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે. હું હવે મારું નામ આ સરકાર અને તેના ભ્રષ્ટાચાર સાથે જોડવા માંગતો નથી.

રાજકુમાર આનંદના ઘરે EDએ દરોડા પાડ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં, જ્યારે EDએ સીએમ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા, આ પહેલા EDએ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. EDની ટીમે સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન સહિત 9 સ્થળોએ તપાસ કરી હતી. રાજકુમાર આનંદના બિઝનેસને લગતા કેસમાં EDની ટીમે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે. રાજકુમાર આનંદ પણ હવાલા વ્યવહારમાં સામેલ હોવાની શંકા હતી. આ દરોડાને કસ્ટમના મામલામાં પણ જોડવામાં આવી રહ્યો છે.

કોણ છે રાજકુમાર આનંદ?

રાજકુમાર આનંદ વર્ષ 2020માં પહેલીવાર પટેલ નગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ પહેલા તેમની પત્ની વીણા આનંદ પણ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સ્થાને રાજકુમાર આનંદને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Back to top button