સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર જવાબ દાખલ કરવા EDએ માંગ્યો સમય, કાલે સુનાવણી


મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન સામે તપાસ ચાલી રહી છે. EDએ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો છે. સુનાવણી આવતીકાલે રાખવાની માંગ કરવામાં આવી છે. મંગળવારે સવારે 11 વાગ્યે બેલ પર સુનાવણી થશે. હાલમાં તેને ફરીથી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એએસજી એસવી રાજુ ED વતી હાજર થયા હતા. તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે અમને સમયની જરૂર છે. પહેલા જામીન અરજી જોવી પડશે. સુનાવણી આવતીકાલ માટે મુલતવી રાખવી જોઈએ.
કોર્ટમાં EDની દલીલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી હાજર રહેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે સત્યેન્દ્ર જૈનનો મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે તેમની તબિયત સારી છે. તેને બ્લડપ્રેશરની ફરિયાદ છે. આ માટે દવાઓ આપવામાં આવી છે પરંતુ તેઓ જાણી જોઈને દવા લેતા નથી. ASGએ કોર્ટ સમક્ષ કહ્યું છે કે સત્યેન્દ્ર જૈનને એ જ દવા લેવાનું કહેવામાં આવ્યું છે, જે હું પોતે લઉં છું. તેઓ જાણીજોઈને દવા ન લઈને એવું વાતાવરણ ઊભું કરવા માગે છે, જેથી તેમને સ્વાસ્થ્યના આધારે જામીન મળી શકે.

સત્યેન્દ્ર જૈનના વકીલે શું કહ્યું?
દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન તરફથી હાજર રહેલા એડવોકેટ હરિહરને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે સત્યેન્દ્ર જૈનની તબિયત સારી નથી. છેલ્લી વખત જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટ પરિસરમાં જ તેની તબિયત લથડી હતી. તેમની ખરાબ તબિયતને જોતા જામીન અરજી દાખલ કરવી પડી હતી.
શું જામીન માટે કોઈ બહાનું બનાવવામાં આવી રહ્યું છે?
સત્યેન્દ્ર જૈનની દલીલ કરતા હરિહરને વધુમાં કહ્યું કે જામીન મેળવવા માટે કોઈ બહાનું બનાવવામાં આવી રહ્યું નથી. સત્યેન્દ્ર જૈનની તબિયત ખરેખર ખરાબ છે. EDએ તેમની ધરપકડ કરી છે અને પૂછપરછ કરી છે. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તમામ પુરાવા દસ્તાવેજોના રૂપમાં છે. આવું કહેવા પાછળ વકીલનો હેતુ એ હતો કે દસ્તાવેજો સાથે ચેડાં કરી શકાય નહીં.