ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ, 7 નવજાત શિશુ બળીને ખાખ, 5 હોસ્પિટલમાં દાખલ

  • રાજકોટ જેવી જ દુ:ખદ ઘટના દિલ્હીમાં બની
  • બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 7 બાળકો બળીને ખાખ થયા
  • આગ લાગવાનું કારણ હજી અકબંધ, તપાસ હાથ ધરાઈ

દિલ્હી, 26 મે: રાજકોટમાં બનેલી આગની દુ:ખદ ઘટના બાદ મોડી રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં પણ આગનો એક દુ:ખદ બનાવ બન્યો હતો, જ્યાં બેબી કેર સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 7 બાળકો બળીને ખાખ થઈ ગયા હતા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે, એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.

 

દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે તેને આઈટીઆઈ, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન 7 બાળકોનું દુ:ખદ અવસાન થયું હતું. રાજકોટ શહેરના ગેમિંગ ઝોનમાં પણ મોટા પાયે આગ ફાટી નીકળી હતી અને આ દુ:ખદ ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થયા છે, જેમાં મોટાભાગના બાળકો હતા.

કેજરીવાલે કહ્યું જવાબદારને બક્ષવામાં નહીં આવે

 

સીએમ કેજરીવાલે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે બાળકોની હોસ્પિટલમાં આગની આ ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે અમે બધા તેમની સાથે ઊભા છીએ. સરકારી અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે ઘાયલોને સારવાર આપવામાં વ્યસ્ત છે. ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને આ બેદરકારી માટે જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં.

 

વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ પર ડીસીપી શાહદરાના નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘પશ્ચિમ વિહારના ભરોન એન્ક્લેવમાં રહેતા હોસ્પિટલના માલિક નવીન કીચી સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

120 યાર્ડની બિલ્ડિંગમાં બેબી કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું

દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બેબી કેર સેન્ટર 120 યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. એક બાળક ICUમાં હતું જેણે આજે સવારે જ દમ તોડ્યો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

સેન્ટરની અંદર ઓક્સિજન સિલિન્ડરો પડ્યા હતા

બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડ્યા હતા. આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન કાંડ: મૃત્યુઆંક 32 થયો, જાણો ઘટનાનું A to Z

Back to top button