તવાંગ મુદ્દે રાજનાથ સિંહની હાઈ લેવલની બેઠક, બપોરે 12 વાગ્યે સંસદમાં ચર્ચા


અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ત્રણેય સેનાઓના વડા અને CDS પણ ભાગ લેશે. આ સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ બેઠકમાં હાજર રહેશે. તવાંગ સેક્ટરમાં 9 અને 11 ડિસેમ્બરે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા.
CDS અને ત્રણેય સેના પ્રમુખો સાથેની બેઠક પૂરી
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે રાજનાથ સિંહને મળવા પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ત્રણેય સેનાના વડા રાજનાથ સિંહને દેશની તમામ સરહદો પરની તાજેતરની સ્થિતિ વિશે ચર્ચા કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું
રાજનાથ સિંહ તવાંગ અથડામણ પર આજે સંસદમાં નિવેદન આપશે
માહિતી મળી રહી છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદમાં તવાંગ અથડામણ પર નિવેદન આપી શકે છે. આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આરજેડી સાંસદ મનોજ ઝાએ સંસદમાં ભારત-ચીન અથડામણનો મુદ્દો ઉઠાવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ સંસદમાં સસ્પેન્શન નોટિસ દાખલ કરી છે. બીજી તરફ મનોજ ઝાએ નિયમ 267 હેઠળ નોટિસ આપીને આ મહત્વના વિષય પર ગૃહનું કામકાજ અટકાવી ચર્ચાની માંગ ઉઠાવી છે.

લોકસભા રાજ્યસભામાં ઉઠાવાશે મુદ્દો
શિયાળુ સત્રની કાર્યવાહી આજે પણ ચાલુ છે. ત્યારે સંસદનું સત્ર આજે તોફાની બને તેવી શક્યતા છે. કોંગ્રેસે કહ્યું છે કે તે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનની સેના વચ્ચેની અથડામણનો મુદ્દો સંસદમાં ઉઠાવશે. કોંગ્રેસના સાંસદ નાસિર હુસૈને આ મુદ્દે ચર્ચા માટે નિયમ 176 હેઠળ રાજ્યસભામાં નોટિસ આપી છે. તે જ સમયે, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ તેના પર ચર્ચા કરવા માટે સ્થગિત પ્રસ્તાવ આપ્યો છે. તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ચીની સૈનિકોને ખદેડી દીધા હતા.