દાહોદઃ છાબ તળાવે સજ્યા નવા શણગાર, PM મોદી કરશે લોકાર્પણ

- દાહોદ શહેરના છાબ તળાવના રૂ. ૧૧૭ કરોડના નવીનીકરણ પ્રોજેક્ટનું PM નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ.
- છાબ તળાવમાં વિવિધ સુવિધાઓ ઉભી કરાતા પ્રવાસીઓ ઉપરાંત નગરજનો માટે વધુ નવું નજરાણું બનશે.
દાહોદ: સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો રૂ. ૧૧૧ કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે.
માળવા ઉપર ચઢાઇ કરવા જઇ રહેલા સિદ્ધરાજ જયસિંહએ દાહોદમાં લાવલશ્કર સાથે છાવણી નાખી. એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે. આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક એક એક છાબ ભરી માઢી કાઢી એટલે આ છાબ તળાવનું નિર્માણ થયું. હજું પણ ત્યાં ખોદકામ દરમિયાન પુરાતત્વીય અવશેષો મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.
છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ પ્રોજેક્ટ જુલાઈ ૨૦૧૯ માં શરૂ કરવામાં આવ્યો હતો જે એપ્રિલ ૨૦૨૩ માં પૂર્ણ થઈ ગયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત છાબ તળાવના બ્યુટીફિક્શન માટે કુલ ૪ ગાર્ડનનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં જોગિંગ ટ્રેક, બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા, સાયકલ ટ્રેક, લેન્ડસ્કેપ ટ્રી એવન્યુ ગાર્ડન, ગ્રીન સ્પેસ સહિત સ્થાનિકો માટે વ્યવસાયની સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ સતત જીવંત બની રહેશે.
છાબ તળાવ એ સમગ્ર દાહોદ શહેરનું હાર્દ સમું તળાવ છે. જેને લઇને દાહોદવાસીઓ ગૌરવ અનુભવે છે. આ તળાવના નવીનીકરણ પ્રોજેક્ટના કારણે તળાવની સ્વચ્છતા અને વાયુ મિશ્રણ દ્વારા પાણીની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો આવશે. વોટર સ્પોર્ટ્સ અને જાહેર ગ્રીન સ્પેસને પણ પ્રોત્સાહન મળશે.
અહીં મનોરંજનની સાથોસાથ જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિંગ સુવિધા, મુલાકાતીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ઉપરાંત ૨.૫ કિમી લાંબો પથ – વે, સાયકલિંગ, રૂફ ટોપ સોલાર, એમ્ફિથિયેટર વગેરે જેવી વિવિધ વિશેષતાઓ કે જે પ્રકૃતિદત્ત છે એ દરેક આ બ્યુટીફિકેશનમાં સમાવી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: છોટાઉદેપુરઃ ક્વાંટના 25 ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ