ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

  • ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો
  • હવામાન વિભાગ અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે
  • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ
  • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9-10 જૂને અસર દેખાવાની શક્યતા
  • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત કરવા સુધીની તૈયારી
  • બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજોય’ નામ આપ્યું છે જેનો અર્થ જ ‘આફત’ થાય છે
  • ચક્રવાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી શક્યતા
  • અંબાલાલ પટેલે કહ્યું- ચક્રવાતના કારણે ચોમાસું મોડું પડશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી

અમદાવાદ: ગુજરાતના દરિયાકાંઠે એક ભયંકર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાતના દરવાજા પર ચક્રવાત બિપરજોયે દસ્તક આપવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર આફત પોતાના પ્રારંભિક તબક્કામાં છે. ટૂંકમાં કહીએ તો તે જન્મ લઈ રહી છે. હવામાન વિભાગના શબ્દોમાં કહીએ તો અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ જાય એવી શક્યતા દેખાઇ રહી છે.

આ ચક્રવાત દરમિયાન 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ડિઝાસ્ટર વિભાગે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9-10 જૂને અસર દેખાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ડિઝાસ્ટર વિભાગે કામરેજમાં એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય કરી છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપવામાં આવી છે અને અન્ય માછીમારોને દરિયા તરફ ના જવા માટે તાકિદ કરવામાં આવી છે.

સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજ્યનાં તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.  તેમજ ડિઝાસ્ટર વિભાગ દ્વારા કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. 42 ગામના લોકોને સ્થળાંતરિત કરવા સુધીની તૈયારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપરજોય’ નામ આપ્યું છે જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. આજે બપોર એટલે કે 7 જૂન બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર વાવાઝોડામાં પરિણમે એવી પૂરી શક્યતા છે.

રાજ્યના બંદરો પર બે નંબરનું સિગ્નલ

આફતને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતનાં રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ આપ્યું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે એ સ્પષ્ટ નથી. હવામાન વિભાગે બિપરજોય પર સતત નજર બનાવી રાખી છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાઇક્લોનિક (ગંભીર ચક્રવાત) સ્ટોર્મમાં ફેરવાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર

ચક્રવાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે.આ સાથે જ સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અગમચેતીને લઈ જાનહાનિને ટાળવાની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. 9 અને 10 જૂને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા આગાહીમાં વ્યકત કરવામાં આવી છે. તે ઉપરાંત દરિયાઈ વિસ્તારનાં ગામોને એલર્ટ કરી દેવાયાં છે.

વાવાઝોડાની શક્યતાને લઈ ઇન્ચાર્જ કલેક્ટર બી.કે. વસાવાએ મીડિયાને જણાવતા માહિતી આપી છે કે, વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશેષ 24 કલાક કાર્યરત અલાયદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે, જેના થકી વાવાઝોડાનાં તમામ અપડેટની માહિતી મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈકાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજૂરા અને ઓલપાડ તાલુકાનાં 42 ગામને અસર થવાની શક્યતા દેખાઇ રહી છે. તેથી આ તમામ ગામોને એલર્ટ કરી દેવાયાં છે અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો- કેનેડાના જંગલોમાં લાગેલી આગે અમેરિકનોના રૂંધ્યા શ્વાસ; 1 લાખ 20 હજાર લોકોએ છોડ્યા ઘર

દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે એવાં 42 ગામ પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો એ માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ઉપરાંત કામરેજ ખાતે એક SDRFની ટીમ સ્ટેન્ડ બાય છે, એમ છતાં વધુ જરૂર પડશે તો NDRFની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.તે ઉપરાંત વસાવાએ કહ્યું કે, મેનેજમેન્ટ દ્વારા ચક્રવાત દરમિયાન જાનહાનિને રોકવા માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.

બી.કે. વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 9 અને 10 જૂને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઇ રહી છે. અફવાઓમાં ગેરમાર્ગો ન દોરાવવા માટે પણ બીકે વસાવાએ સૂચનો આપ્યા હતા. તેમને સોશિયલ મીડિયા થકી આવતી ખોટી માહિતી અને અફવાઓથી સચેત રહેવા લોકોને અપીલ કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું- ચક્રવાતના કારણે ચોમાસું મોડું પડશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી

અંબાલાલ પટેલે આફતના કારણે ચોમાસું લેટ પડવાની શક્યતા દર્શાવી છે.તેમના અનુસાર, આ વાવાઝોડું ભયાનક રૂપ ધારણ કરી શકે છે. 7થી 9 જૂન સુધી દરિયો તોફાની બને અને દરિયામાં 60થી લઈને 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પણ 70 કિમી સુધીની ઝડપનો પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે જ ચોમાસું 15મી જૂન સુધી મોડું પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ચક્રવાતના કારણે 5 દિવસથી કેરળની પાસે ચોમાસું અટકેલું છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ચોમાસું મોડું આવવાનો અર્થ એવો થતો નથી કે વરસાદ પણ ઓછો પડશે. આઝાદ ભારતના ઈતિહાસમાં અત્યારસુધી માત્ર 6 વખત એવું બન્યું છે જ્યારે ચોમાસું પોતાની સામાન્ય નક્કી તારીખ 1 જૂને કેરળમાં પહોંચ્યું હોય. 11 વખત એવું થયું છે, જ્યારે ચોમાસું 25 મેથી પહેલાં પહોંચી ગયું હતું. 11 વાર ચોમાસું 7 જૂન પછી આવ્યું છે.

પાછલા 8 વર્ષમાં સામાન્ય કરતાં 10% વધુ વરસાદ પડ્યો

ઉલ્લેખનિય છે કે 8 વર્ષમાં સામાન્ય કરતાં 10% વધુ વરસાદ પડ્યો છે, તેમાં 1983 પણ સામેલ છે, જ્યારે ચોમાસું 13 જૂને આવ્યું હતું. આ જ રીતે જે 14 વર્ષમાં દુષ્કાળ પડ્યો હતો, એમાંથી 9 વખત ચોમાસું 1 જૂનથી પહેલાં જ આવી ગયું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે ચોમાસું મોડું આવવું કોઈ મોટી સમસ્યા નથી.

આ પણ વાંચો- ગુજરાત પોલીસને સલામ, ટ્રાફિક પોલીસે બચાવ્યો યુવાનનો જીવ

Back to top button