અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ખોટી એર ટિકિટો અને હોટેલ બુકિંગમાં લોકો સાથે કરોડોની છેતરપિંડી

અમદાવાદ, 29 જૂન 2024, ગુજરાતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક મહા ઠગે અનેક લોકો સાથે એર ટિકિટ બુકિંગ મુદ્દે છેતરપિંડી કરી છે. ટુર અને ટ્રાવેલ્સના નામે મોટુ કૌભાંડ આ ઠગ દ્વારા આચરવામાં આવ્યું છે. અનેક લોકોએ આ ઠગની સામે પોલીસ ફરિયાદ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. તે ઉપરાંત આ ઠગના ઘરના દરવાજા પર પણ એક બાંહેધરી પત્ર ચોંટાડવામાં આવ્યો છે. જેમાં તેના ધંધાકિય નફા નુકસાનની જવાબદારી તેના વાલીપણાની નથી. આ મહાઠગ અનેક લોકોના રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો છે અને તેને પરત લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.

મહાઠગ તેજસ નિલેશભાઈ શાહ

લોકોને છેતરી તેજસ શાહ વિદેશ ફરાર થઈ ગયો છે
અમદાવાદમાંથી અનેક લોકો ફ્લાઈટ અને ટ્રેનમાં મુસાફરી કરે છે. લોકોને કેટલાક ટુર ઓપરેટરો દ્વારા જુદા જુદા પ્રલોભનો પણ આપવામાં આવે છે. જેમાં હોટેલના વાઉચરો પણ સામેલ હોય છે. ત્યારે દેશ વિદેશ જનારા લોકો પાસેથી એર ટિકીટના રૂપિયા લઈને ખોટી ટીકિટો આપી તેમને હોટેલના ખોટા વાઉચરો આપીને ઠગવામાં આવ્યા હોવાની ફરિયાદો કરવામાં આવી છે. અમદાવાદના આ મહાઠગ તેજસ શાહ સામે એર ટિકીટ મામલે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. આ ઠગ સામે કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યાં છે. Vishu નામના એક બેંક એકાઉન્ટમાં આ ઠગે કરોડો રૂપિયાની હેરફેર કરેલ છે. આવા અનેક બેનામી એકાઉન્ટો આ ઠગ ઓપરેટ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના ઘરના દરવાજે લાગેલું બાંહેધરી પત્ર

લોકોને ઠગીને તેમના પૈસાથી વિદેશમાં જઈને ઐયાશી કરી રહ્યો છે
લોકોના રૂપિયાની ઉચાપત કરીને તેજસ શાહ વિદેશ ભાગી ગયો છે. તેને વિદેશથી પરત લાવવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ ઉપરાંત એક ડોક્ટરને પણ એર ટિકીટના પૈસા લઈને ટીકિટો આપેલ નથી. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, મહાઠગ તેજસ શાહે ભારતમાં લોકોને ઠગીને તેમના પૈસાથી વિદેશમાં જઈને ઐયાશી કરી રહ્યો છે. તેણે અનેક લોકોના ક્રેડિટ કાર્ડ પણ ઉપયોગમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. તે ગુજરાત છોડીને બેંગ્લોરમાં જઈને રહેતો હતો તેણે ત્યાં પણ પડોશમાં રહેતા એક વૃદ્ધ સાથે છેતરપિંડી કરી છે. લોકોનું એવુ પણ કહેવું છે કે, તેનો પરિવાર પણ તેની સાથે સંકળાયેલો હતો અને પોલીસ તેમની સામે પણ સકંજો કસી શકે એમ છે.

અગાઉ મહાઠગ તેજસ શાહ સામે થયેલી ફરિયાદ

અનેક લોકો પણ આ મહાઠગ સામે ફરિયાદ કરી શકે એમ છે
તાજેતરમાં થયેલી ફરિયાદમાં તેજસ નિલેશભાઈ શાહ સહિત યોગેશભાઈ રમેશભાઈ શર્મા, લીમીગો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિ ખાલીદ અલી તથા માલિકો અને સંચાલકો, બ્લીચ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને સંચાલકો, જેનિથ લેજયૂર હોલિડેજની માલિકો અને સંચાલકોના નામ પણ સામેલ છે. તેજસ શાહ મની લોન્ડરિંગ કરે છે અને અનેક લોકોના ખોટા ખાતાં ઓપરેટ કરે છે. જે અંગે આવકવેરા વિભાગ પણ તપાસ કરી શકે છે. તે ઉપરાંત બીજા અનેક લોકો પણ આ મહાઠગ સામે ફરિયાદ કરી શકે એમ છે.

અગાઉ મહાઠગ તેજસ શાહ સામે થયેલી ફરિયાદ

તેજસ શાહ સામે અગાઉ ઠગાઈની ફરિયાદ થયેલી છે
2018માં આરોપી તેજશ શાહ સામે ગ્રાહકોના એર ટીકીટ બુકીંગ તેમજ ટુર પેકેઝ તેમજ હોટલ બુકીંગ પેટે કુલ 68.40 લાખનુ બુકીંગ કરાવી તે પેટે 28 લાખ કંપનીમાં જમા કરાવી બાકીના 39.93 લાખ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ગ્રાહકો પાસેથી મેળવી લઈ કંપનીમાં જમા નહી કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદમાં તેજસ શાહ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ કેટલાક લોકો દ્વારા જાણવા મળ્યું છે. તેણે લોકોના રૂપિયા લઈને ઠગાઈ આચરી છે અને અમદાવાદમાં રહેતા તેના માતા પિતાને કોઈ રૂપિયા મામલે હેરાન કરે નહીં તે માટે ઘરના દરવાજે એક બાંહેધરી પત્ર ચોંટાડવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, કે મારા ધંધામાં નફા નુકસાનની કોઈ જવાબદારી અમારા માતા પિતાની નથી તેના માટે હું ખુદ જવાબદાર છું. હવે આ ચીટર સામે કાયદાનો કોરડો વિંઝાયો છે. ત્યારે આવા ચીટરોથી લોકોએ જાગૃત બનવાની જરૂર છે.

આ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ

તેજસભાઈ નિલેશભાઈ શાહ
યોગેશભાઈ રમેશભાઈ શર્મા
લીમીગો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત વ્યક્તિ ખાલીદ અલી તથા માલિકો અને સંચાલકો
બ્લીચ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડના માલિકો અને સંચાલકો,
જેનિથ લેજયૂર હોલિડેજની માલિકો અને સંચાલકો

Back to top button