ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAP નેતા આતિશીને કોર્ટનું સમન્સ: 29 જૂને હાજર થવાનું ફરમાન, શું છે સમગ્ર મામલો?

  • ભાજપના મીડિયા વડા પ્રવીણ શંકર કપૂર દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો 

નવી દિલ્હી, 28 મે: દિલ્હીની એક અદાલતે મંત્રી અને AAP નેતા આતિશીને આજે મંગળવારે ભાજપના મીડિયા વડા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યું છે અને આતિશીને 29 જૂને કોર્ટમાં હાજર થવનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે આતિશીના આરોપોની નોંધ લીધી છે જેમાં તેણે કહ્યું હતું કે, ભાજપે AAP ધારાસભ્યો સાથે લાંચ અને વેપાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરે AAP નેતા આતિશી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પ્રવીણ શંકર કપૂરે માનહાનિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ લીધું હતું. ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે, આવા આરોપોથી તેમની અને તેમની પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ આરોપોને ધ્યાનમાં લેતા કોર્ટે આતિશીને આરોપી તરીકે ઓળખી કાઢ્યા અને તેમને 29 જૂને હાજર થવાનો આદેશ આપ્યો.

AAPના આરોપો વિરુદ્ધ BJP કોર્ટ પહોંચી

મહત્ત્વપૂર્ણ છે કે, બીજેપી નેતાએ 30 એપ્રિલના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, AAP નેતા તેમના ખોટા દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં, પ્રવીણ કપૂરે અરવિંદ કેજરીવાલની એક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં AAP સુપ્રીમોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. તેમણે આતિશીના દાવાને પણ ટાંક્યો હતો કે, તેમને તેમની રાજકીય કારકિર્દી બચાવવા માટે ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી. ઉપરાંત, આતિષીને કહેવામાં આવ્યું હતું કે,  જો તે આવું નહીં કરે તો તેની ED દ્વારા ધરપકડ કરવામાં આવશે.

ભાજપે મારો સંપર્ક કર્યો: આતિશી

આતિશીએ એપ્રિલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘ભાજપે ખૂબ જ નજીકના વ્યક્તિ દ્વારા મારો સંપર્ક કર્યો હતો અને તેમણે મને ભાજપમાં જોડાવાનું કહ્યું હતું અને કહેવામાં આવ્યું કે આ મારી રાજકીય કારકિર્દી બચાવશે. તેમણે ધમકી આપી કે જો હું ભાજપમાં નહીં જોડાઉં તો ED એક મહિનામાં મારી ધરપકડ કરશે.”

આપ નેતાઓએ ટીવી અને સોશિયલ મીડિયા પર માફી માંગવી જોઈએ: ભાજપ નેતા

ઉલ્લેખનીય છે કે, AAP નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે, “તેમની સાથે પાર્ટીના સાથીદારો સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકની આગામી બે મહિનામાં ધરપકડ કરવામાં આવશે.” ભાજપ નેતાએ તેમની અરજીમાં બીજેપી નેતાએ ટીવી અને સોશિયલ મીડિયા પર આતિશી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પાછી ખેંચવાની અને માફી માંગવાની માંગ કરી છે.

આ પણ જુઓ: કેજરીવાલના વચગાળાના જામીન વધારવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો SCનો ઇનકાર

Back to top button