ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

27 વર્ષની કેદની સજા બાદ કોર્ટે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો! જાણો શા માટે ?

  • બારાબંકી હત્યા કેસમાં 27 વર્ષની સજા ભોગવનાર વ્યક્તિને SCએ સગીર જાહેર કર્યો
  • ઘટના સમયે વ્યક્તિ સગીર હોવાથી સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજાને ફગાવી દીધી  

નવી દિલ્હી, 28 નવેમ્બર : જે હત્યા કેસમાં એક વ્યક્તિને 27 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો તે જ કેસમાં હવે સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે બારાબંકી હત્યા કેસમાં 27 વર્ષ સુધી  સજા ભોગવનાર વ્યક્તિને સગીર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ઘટના સમયે આરોપી સગીર હતો. આવી સ્થિતિમાં તેને હત્યાના કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજા ફગાવી દેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે વ્યક્તિ તેના કિશોરાવસ્થા દરમિયાન લગભગ સાડા ચાર વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં અલગ-અલગ રિપોર્ટમાં ઉંમરનો અલગ-અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “વ્યક્તિના મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સમયે આરોપીની ઉંમર 19 વર્ષ હતી, જ્યારે સ્કૂલના રજિસ્ટરમાં તેને 16 વર્ષ જણાવવામાં આવ્યું હતું. જોકે, પંચાયત રજિસ્ટરમાં ઉંમર 20 વર્ષ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં ઉલ્લેખિત ઉંમર 19 વર્ષ માનવામાં આવે તો પણ આ મૂલ્યાંકન સચોટ નથી. આવી સ્થિતિમાં આરોપીને એક વર્ષનો લાભ આપવામાં આવે છે.”

અલ્હાબાદ હાઈકોર્ટે વ્યક્તિને સંભળાવી હતી આજીવન કેદની સજા

અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઘટના 1 ડિસેમ્બર 1995ની છે. બારાબંકીમાં ખેતરોમાં પાણી નાખવાને લઈને વિવાદ થયો હતો. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીઓએ પીડિતા પર હુમલો કર્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-1986 હેઠળ 16 વર્ષ સુધીની ઉંમરને કિશોર ગણવામાં આવી હતી. વર્ષ 2000માં, કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને 16 વર્ષની વય વધારીને 18 વર્ષ કરવામાં આવી. હાલના કેસમાં 1999માં સુનાવણી પૂર્ણ થઈ હતી.

મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં થયો ખુલાસો

જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2021માં એડિશનલ સેશન્સ જજ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, “ઘટના સમયે આરોપીની ઉંમર 19 વર્ષની હતી.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મેડિકલ રિપોર્ટ બિલકુલ સચોટ હોય શકે નહીં. બે વર્ષનો ઉતાર-ચઢાવ આવી શકે છે. સુપ્રીમ કોર્ટે ઘટના સમયે આરોપી સગીર હોવાનું જણાવી અને હત્યાના કેસમાં આપવામાં આવેલી આજીવન કેદની સજા ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, “જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 16 કોઈપણ કિશોર આરોપીની સજાને પ્રતિબંધિત કરે છે.”

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એક ઐતિહાસિક સાબિત થઈ શકે છે. જો ઉંમરને લઈને કોઈ વિવાદ હોય, તો જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 94ની જોગવાઈઓનો ઉપયોગ ઉંમર નક્કી કરવા માટે કરવામાં આવે. જેમાં કલમ 94 કહે છે કે, મેટ્રિક પ્રમાણપત્રમાં ઉલ્લેખિત જન્મની તારીખ માન્ય રહેશે. જો મેટ્રિકનું પ્રમાણપત્ર ન હોય, તો મહાનગરપાલિકા અથવા પંચાયત દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર માન્ય રહેશે. આ બંને પણ ન હોય તો “ઓસિફિકેશન ટેસ્ટ” અથવા “બોન એજ ટેસ્ટ” (મેડિકલ એજ ટેસ્ટ) કે રિપોર્ટના આધાર પર ઉંમર નક્કી કરો.

આ પણ જુઓ :ખેડામાં બે ખાનગી ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઈ, 25 ઘાયલ

Back to top button