અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતના આ 26 કેન્દ્રો પર 4 જૂને સવારના 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

ગાંધીનગર, 28 મે 2024, લોકસભા ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તારીખ 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 4 જૂને વહેલી સવારથી મતગણતરી શરૂ કરવામાં આવશે. સમગ્ર મતગણતરીની પ્રક્રિયામાં 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત ECI દ્વારા પણ ગઈકાલે મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

રાજ્યમાં 26 કેન્દ્રો પર મતગણતરી થશે
આ અંગે શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 4 જૂન, 2024ના રોજ સવારે આઠ વાગ્યે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાશે. તમામ મતગણતરી મથકો પર આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આણંદ લોકસભા મતવિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રો-ઓબ્ઝર્વર મૂકવામાં આવશે
2 જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર ફરજ સ્થળ પર હાજર થઈ જશે. વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના 24 કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે 5 વાગ્યે ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો-ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રો-ઓબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણીપંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો અને કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે.

EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવવામાં આવશે
આ ઉપરાંત EVM ચૂંટણી અધિકારી-મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ અને EVMના મતોની ગણતરી શરૂ કરાશે. સુરક્ષાને લઈ શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ
રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન (લેન્ડલાઈન) અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈ-પેડ કે લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઓબ્ઝર્વર પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. ETPBSની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક OTP મેળવવા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવશે.

આ પણ વાંચોઃએક્ઝિટ પોલ કેટલા સચોટ? પરિણામોની કેટલી નજીક હોઇ શકે? આવો જાણીએ 

Back to top button