અમદાવાદમાં કન્જક્ટિવાઈટિસ વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં

- કન્જક્ટિવાઈટિસના કારણે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
- ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ શહેરભરમાં ફરતા થયા
- આંખોનું ચેકઅપ કરી વિનામુલ્યે આંખના ટીપા અપાય છે
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કન્જક્ટિવાઈટિસ અને સાદી ભાષામાં આંખ આવવાનો રોગ વકર્યો છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના લોકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. બાળકોમાં આ રોગ મોટા પ્રમાણમાં વકર્યો હોવાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલીક શાળાઓના વર્ગોમાં કન્જક્ટિવાઈટિસના કારણે બાળકોની હાજરી અડધાથી પણ ઓછી જોવા મળી રહી છે. માત્ર શાળાઓ જ નહિ કોલેજોમાં પણ 15થી 20 ટકા હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાળા સંચાલકો પણ આંખમાં સહેજ પણ તકલીફ હોય તેવાં બાળકને શાળાએ ન મોકલવા સૂચના આપી રહ્યા છે. શાળાઓમાં પણ કામચલાઉ કન્જક્ટિવાઈટિસ મેડિકલ ઇમર્જન્સી કાઉન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે. સાથે સાથે ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણથી અલગ અલગ સંક્રમિત બીમારીઓ ઝડપથી વધી રહી છે.
ઇમરજન્સી સહાય માટે સરકાર મેદાનમાં ઉતરી
રોગનો વધુ પડતો ફેલાવો જોતાં તથા રોગની ગંભીરતાને જોતાં સરકારે પણ કોવિડકાળની જેમ જ ધન્વંતરિ રથ ઇમર્જન્સી સહાય માટે મેદાનમાં ઉતાર્યા છે. કન્જક્ટિવાઈટિસ રોગ નાનાં બાળક, સ્કૂલ વિદ્યાર્થીમાં વધુ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર આ રોગને ફેલાતો અટકાવવા સાવચેતી એ જ સાચો ઉપાય છે અને જરા જેટલાં ચિહ્ન પણ દેખાય કે તરત તબીબની સલાહ લેવી જરૂરી છે.
સરકારી હોસ્પિટલ્સ પણ હરકતમાં
જો કે સરકારી હોસ્પિટલમાં જેટલી પણ સંખ્યામાં કેસ આવી રહ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલ દ્વારા આંખનાં ટીપાં તથા દવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેમાં દવા કે આંખનાં ટીપાંની કોઇ ઘટ નથી. આંખના રોગના નિષ્ણાત ડોક્ટરના મતે વડીલો કે બાળકોને ખાસ કરીને ભીડમાં જવાનું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કામચલાઉ ઉપયોગ કરવાનું ટાળવું અને સફાઈ પર ખાસ ધ્યાન આપવું.
‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા કન્જક્ટિવાઈટિસના દર્દીને નિ:શુલ્ક સારવાર
કન્જક્ટિવાઈટિસ (આંખ આવવી)ના કેસમાં ચિંતાજનક વધારો થતા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ અને મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી અસરગ્રસ્તોને જરૂરી માર્ગદર્શન અને આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. લોકો જાગૃત બને એ માટે જન જાગૃતિ કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા કન્જક્ટિવાઈટિસના દર્દીને નિદાન અને નિ:શુલ્ક સારવાર, દવા આપવામાં આવી રહ્યાં છે.
‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની ખાસ ઝુંબેશ દ્વારા કન્જક્ટિવાઈટિસ ફેલાતો રોકવા, ખાસ કરીને બાંધકામ સાઈટ્સ અને કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં ચેપ ફેલાતો અટકાવવા માટે સૂચન કરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક અધિકારી, આગેવાન અને લોકોના સહયોગથી ધન્વંતરિ આરોગ્ય રથની સેવા દ્વારા આંખના રોગની દવા, આઈ ડ્રોપ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રથમાં મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, કાઉન્સેલર, ફાર્માસિસ્ટ, પેરામેડિકલની ટીમ ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામ સાઈટ્સ પર મોબાઈલ હેલ્થ યુનિટ શ્રમિકોને નિદાન સારવાર આપે છે.
આ પણ વાંચોઃ હાય રે મોંઘવારી! ટામેટાંના ભાવ હજુ વધશેઃ 300 રૂપિયા સુધી જશે!