ટ્રેન્ડિંગનેશનલ

અતીક અહેમદની કબર પર કૉંગ્રેસ નેતાએ મૂક્યો ત્રિરંગો, નેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટી

Text To Speech

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનારા કોંગ્રેસી નેતાને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે. કોંગ્રેસના નેતા અને કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ અતીક અહેમદની કબર પર તિરંગો લગાવ્યો હતો. એ પછી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ તરત જ આની નોંધ લઈ સસ્પેન્ડ કરી દીધા. કોંગ્રેસના નેતા રાજકુમારે તો અતીક અહેમદને શહીદ જાહેર કર્યા હતા. આટલું જ નહીં તેમને ભારત રત્ન આપવાની માંગ પણ કરવામાં આવી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ પ્રયાગરાજે તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો.

સાથે જ કોંગ્રેસે તેને રાજકુમારનું અંગત નિવેદન ગણાવ્યું છે અને કહ્યું છે કે પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. રાજકુમારની કાઉન્સિલરની ઉમેદવારી પણ પાછી ખેંચી લેવામાં આવી છે. રાજકુમારે યોગી આદિત્યનાથ સરકાર પર અતીકની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. તેમના નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે.

રાજકુમાર સિંહને પોલીસ સ્ટેશન લઈ જવાયા

જણાવી દઈએ કે રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છે. તેઓ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 43 દક્ષિણ મલાકામાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ અગાઉ પણ કાઉન્સિલરની ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

ત્રણ શખ્સોએ કરી અતીકની હત્યા

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા માફિયા અતીક અહેમદને ત્રણ હુમલાખોરોએ પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ આ મુદ્દે રાજકારણ શરૂ થયું હતું. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું.

Back to top button