કોંગ્રેસે આખરે મુખ્યમંત્રી અંગે કરી મોટી જાહેરાત, આ સમાજથી હશે ચેહરો


ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે બીજા તબક્કાને લઈને તમામ પાર્ટીઓેએ પ્રચાર અને સભાઓ શરુ કરી દીધી છે. જેનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. તે પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય જાહેર કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો OBCમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તેમજ આ સાથે ત્રણ ઉપમુખ્યમંત્રીને પણ સ્થાન આપવામાં આવશે, જે SC,ST અને અલ્પસંખ્ય સમુદાયમાંથી પસંદ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મિટીંગ બાદ આ નિર્ણય જાહેર કરાયા છે.
આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સામે કઠોર પગલાં શરૂ કર્યા એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું : મોદી
કોંગ્રેસ હવે જાતિ-જ્ઞાતિનું કાર્ડ રમવાનો પ્રયાસ
કોંગ્રેસ હવે બીજા તબક્કાના મતદાન પહેલાં જાતિ-જ્ઞાતિનું કાર્ડ રમવાનો પ્રયાસ કરાયો છે. પહેલાં તબક્કામાં ધીમું મતદાન પછી તમામ પાર્ટીઓની ચિંતા વધી છે ત્યારે કોંગ્રેસે જાતિવાદના નામે મોટી ચાલ રમી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ પાંસુ ફેંકી લોકોને પોતાની તરફેણમાં ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ઠાકોર સમાજ, એસસી, એસટી અને અલ્પસંખ્યક મતદારોને આકર્ષિત કરવા માટે આ સમાજમાંથી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પસંદ કરવાની જાહેરાત કરી છે.