અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસે ગુજરાતમાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી, સંગઠનમાં તાત્કાલિક ફેરફાર કર્યો

Text To Speech

અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2024, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. બીજી બાજુ ચૂંટણી સમયે રાજ્યના નેતૃત્વ સામે પક્ષના જ દિગ્ગજોએ સવાલો ઉઠાવ્યા હતાં અને ટીકિટો વહેંચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસનો ખૂબ જ ખરાબ રીતે પરાજય થયો હતો. માત્ર 17 બેઠકો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે જિલ્લા અને તાલુકા લેવલના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવીને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું હતું.ત્યારે હવે કોંગ્રેસે ગુજરાતમાં શહેર અને જિલ્લાના 13 પ્રમુખોની જાહેરાત કરી છે. જેમાં મહેસાણામાં હસમુખભાઈ ચૌધરીને પ્રમુખ બનાવાયા છે અને પાટણમાં ગેમરભાઈ રબારીની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે

સંગઠનમાં જડમૂળથી ફેરફારો શરૂ કરી દીધા
ચૂંટણી બાદ શક્તિસિંહે સંગઠનમાં જડમૂળથી ફેરફારો શરૂ કરી દીધા છે. ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો અને નેતાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ અરસામાં પણ અનેક નેતાઓ કેસરીયો ધારણ કરી રહ્યાં હતાં. નરેશ રાવલ, ગોવાભાઈ રબારી, સાગર રબારી, જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં અને હવે કોંગ્રેસના બે ધારાસભ્યોએ પણ રાજીનામું આપીને ભાજપનો હાથ પકડી લીધો હતો. જેમાં પક્ષના તારણહાર ગણાતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ કેસરીયા કરી લીધા હતાં.

ફેરફાર કરવા હાઈકમાન્ડ સમક્ષ માંગ કરવામાં આવી હતી
ત્યારે તાત્કાલિક અસરથી સંગઠનમાં ફેરફાર કરવા હાઈકમાન્ડ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં હાઈકમાન્ડે શહેર અને જિલ્લાના મળીને 13 પ્રમુખોની યાદીને મંજુરી આપી છે. જેમાં જામનગર જિલ્લો, જૂનગઢ શહેર, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત શહેર, રાજકોટ શહેર, અમદાવાદ જિલ્લો, મહિસાગર અને પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃગુજરાતમાં ભાજપની નો રિપીટ થિયરી, રાજ્યસભા માટે ચાર નવા ઉમેદવારો જાહેર કર્યા

Back to top button