ગુજરાતટોપ ન્યૂઝ

જગન્નાથજીની યાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ; 29મીએ નેત્રોત્સવ વિધિ, 1લીએ ભગવાન નગરચર્યાને નીકળશે

Text To Speech

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની આ વર્ષે 145મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા મહોત્સવ અંગે માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે જેમાં 18  શણગારેલા ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડબાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે. રથયાત્રાનો રૂ. 1.5 કરોડનો વીમો લેવામાં આવશે.

દર્શનાર્થીઓ માસ્ક પહેરીને આવેઃ મંદિરના ટ્રસ્ટી
મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ કોરોનાના કેસો વધ્યા છે ત્યારે કોવિડના નિયમોનું પાલન કરી લોકો દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે.

29મીએ ભગવાના નેત્રોત્સવની વિધિ
રથયાત્રાના કાર્યક્રમ અંગેની માહિતી આપતા મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે 29, 30 જૂન અને 1 જુલાઈ એમ ત્રણ દિવસ મંદિરમાં ઉત્સવનો માહોલ રહેશે. 29મી જૂને જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત આવશે. જેથી સવારે છ વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે. 29મી જૂનના રોજ સવારે 11 વાગ્યે દેશના વિવિધ રાજ્યો અને શહેરમાંથી આવેલા તમામ સાધુ-સંતોનો ભંડારો યોજાશે. ભંડારા બાદ તમામ સાધુ-સંતોને વસ્ત્રોનું દાન કરવામાં આવશે. સાધુ-સંતોના ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પંકજભાઈ મોદી હાજર રહેશે.

30 જૂને ત્રણેય રથી પ્રતિષ્ઠા કરાશે
બીજા દિવસે અષાઢી સુદ એકમના 30 જૂનના રોજ સવારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો સોનાવેશ તેમજ શોડષોચાર પૂજન થશે. 10.45 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ગજરાજનું પૂજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં જય અમિત શાહ હાજર રહેશે. બપોરે 12 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે ત્રણેય રથનું પૂજન અને આરતી કરવામાં આવશે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે જેમાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહેશે.

સવારે 4 વાગ્યે મંગળા આરતી અને રથયાત્રાનો પ્રારંભ
1 જુલાઈના રોજ રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાશે. મંગળા આરતીમાં દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેતા હોય છે. આ વર્ષે પણ સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહેશે. સવારે 7.05 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ રથયાત્રા નીકળશે. લોકોમાં ઉત્સાહ અને ઉલ્લાસ છે. લોકો મંદિરની વેબસાઈટ પરથી ઓનલાઈન પણ જોઈ શકશે. જ્યાં જ્યાં દર્શનના પોઇન્ટ છે ત્યાંથી દર્શન કરવામાં આવે. રથયાત્રામાં 30000 કિલો મગ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ આપવામા આવશે.

Back to top button