કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ના શિર્ષક હેઠળ આપેલી જાહેરાત અંગે ફરિયાદ

  • સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અખબારોમાં છે જાહેરાત
  • રાજકોટમાં ક્ષત્રિય સમાજે કલેક્ટરને કરી ફરિયાદ
  • આચારસંહિતાનો ભંગ દર્શાવી કાર્યવાહીની કરાઈ માંગ

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરપોતમ રૂપાલાનું જ્યારથી નામ જાહેર થયું અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાહેરમાં ટિપ્પણી કરતાં રાજપુત તેમજ – ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે મોરથો માંડી રૂપાલાને બદલવાની માંગ કરી હતી પરંતુ ફોર્મ ભરાઈ ગયા બાદ કોઈ ફેરફાર ન થતાં ક્ષત્રિય સમાજ દ્વારા તબક્કાવાર સંમેલનો યોજવામાં આવ્યા હતા અને છેલ્લે ક્ષત્રિયોનો ભાજપ સામેનો રાજ્યવ્યાપી વિરોધ વધતાં મતદાન ઉપર કોઇ અસર ન થાય તે માટે ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

દરમિયાન આજના તમામ દૈનિક પેપરોમાં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ના શિર્ષક સાથે હિન્દુ સમાજના અગ્રણીઓની અપીલની જાહેરાતથી વિવાદ વકર્યો છે. જેના ભાગ સ્વરૂપે રાજપૂત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા એમ.સી.એમ.સી. કમિટી ઓફિસ ઓફ ધ ચીફ ઇલેક્શન ઓફિસર સમક્ષ લેખીતમાં રજૂઆત કરી આચારસંહિતાનો ભંગ દર્શાવી કાર્યવાહીની સમાજના આગેવાનોએ કલેકટરને રજૂઆત કરી હતી.

આજે સોમવારે રાજકોટ કલેક્ટર કચેરીમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પૈકી રમજુભા ઝાલા, રાજભા ઝાલા, ટીકુભા સહિતના આગેવાનોએ કલેકટરને લેખીતમાં રજૂઆત કરી હતી. જેમાં દર્શાવ્યું હતુ કે, આજના સવારના દૈનિક પેપરમાં છેલ્લા પેઈજ ઉપર ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ અંતર્ગત જે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે તેમાં જન પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાનો સમયગાળો મૌન ગણવામાં આવે છે તેમ રમજુભા જાડેજાએ જણાવ્યું હતું.

ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ પ્રિન્ટ મીડિયામાં જાહેરાત છપાવવા માટે જરૂરી એમ.સી.એમ.સી. સમિતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે કે નહીં…? આવી કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષની તરફેણમાં મત મેળવવા માટે જાહેરાતો જાહેર કરી શકે નહીં. આ દેશ અખંડ ભારત છે તે બંધારણ ઉપર આધારિત દેશ છે તેથી બંધારણને સર્વોચ્ચ માનવામાં આવે છે, કોઈપણ સંપ્રદાય કે જાતિ કોઈપણ પક્ષની જાગીર હોઈ શકે નહીં. જાહેરાતકર્તા કોણ છે? આવી જાહેરાતનો ફાયનાન્સર કોણ છે ? તેમનું નામ અને સરનામું મોબાઇલ નંબર શું છે ? અને તેઓ કઈ કઈ ક્ષમતામાં ક્ષત્રિય સમાજને અપીલ કરી રહ્યા છે ? આવી અપીલ કરતા પહેલા તેમણે કોની સંમત્તિ મેળવી ? તેમની પાસેથી જાહેર કરવા રાજપૂત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા લેખીતમાં માંગ કરવામાં આવી છે. આ બાબતે તાત્કાલિક પગલાં લઈ જાણ કરવા જણાવાયું છે.

Back to top button