ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોમેડિયન શ્યામ રંગીલાનું સ્વપ્ન રોળાયું, પીએમ મોદી વિરુદ્ધ ઉમેદવારી કરવા ન મળી, જાણો કારણ

વારાણસી, 15 મેઃ કોમેડિયન શ્યામ રંગીલાનું સ્વપ્ન છેવટે રોળાઈ ગયું છે. તે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા માગતો હતો પરંતુ લોકસભાના ઉમેદવાર માટે જરૂરી શરતોનું પાલન નહીં થવાથી તેના ઉમેદવારીપત્રનો સ્વીકાર થયો નહોતો. ચૂંટણી પંચની નિર્ધારિત પ્રક્રિયા અનુસાર યોગ્ય તપાસ બાદ શ્યામ રંગીલાનું ઉમેદવારીપત્ર ફગાવી દેવામાં આવ્યું હતું. શ્યામ રંગીલાએ ટ્વીટર પર એક ટ્વીટ દ્વારા પોતાનું નોમિનેશન રદ્દ થયાની જાણકારી આપી હતી. તેમના નોમિનેશન ફોર્મમાં ભૂલને કારણે તેમનું નામાંકન પત્ર નામંજૂર કરવામાં આવ્યું હતું.

ઉમેદવારી રદ્દ થયા બાદ તેણે કહ્યું હતું કે તે નિશ્ચિત હતું કે તેમને વારાણસીથી ચૂંટણી લડવા દેવામાં આવશે નહીં, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. હૃદય ચોક્કસપણે તૂટી ગયું છે, હિંમત તૂટી નથી. તમારા બધા સહકાર બદલ આભાર. મીડિયા અને શુભેચ્છકોને વિનંતી છે કે, મહેરબાની કરીને અત્યારે ફોન ન કરો, અહીં જે પણ માહિતી ઉપલબ્ધ હશે તે હું આપતો રહીશ, કદાચ હું થોડો સમય વાત કરવા ઈચ્છતો નથી.

ઉમેદવારીપત્ર રદ થવા અંગે શ્યામ રંગીલાએ કહ્યું કે, ‘મારી જેમ ઘણા લોકો, જેઓ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા, તેઓને આ વિશે ખબર નહીં હોય. આવી સ્થિતિમાં, કયા દસ્તાવેજો સબમિટ કરવાના છે તે જણાવવાનું ચૂંટણી અધિકારીઓનું કામ હોવું જોઈએ. અધિકારીઓ કંઈ બોલ્યા નહીં. માત્ર ચાર રસીદો, ડિપોઝીટ સ્લિપ લીધી અને અમને બહાર મોકલી દીધા. બહાર આવ્યા પછી અમને લાગ્યું કે અમારું નામાંકન થઈ ગયું છે. જ્યારે મેં મારા વકીલને બતાવ્યું તો તેમણે થોડી ચિંતા વ્યક્ત કરી પરંતુ તેમાં લખવામાં આવેલો સમય એવો હતો કે 14મી મેના રોજ સવારે 11 વાગ્યા સુધી સુધારા રજૂ કરી શકાશે. અમે રાત્રે ભાગ્યા પણ કોઈ મદદ મળી નહીં. સવારે લાઈનમાં ઊભા રહ્યા, સાંજે 5 વાગ્યા સુધીમાં વારો આવ્યો.

રંગીલાએ કહ્યું, ‘અજય રાયે 13 મેના રોજ અમારી સામે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું અને 5 મિનિટમાં જ નીકળી ગયા. અમે નેતા નહીં પણ સામાન્ય લોકો હતા અને લડવા બહાર આવ્યા છીએ. ઈન્દોર અને સુરતમાં જે કંઈ થયું તે મને યોગ્ય ન લાગ્યું, તેથી મેં સંદેશ આપવા વારાણસીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મને ખ્યાલ નહોતો કે મારો સંદેશ આટલો મજબૂત જશે.

પીએમ મોદી અને રાહુલ ગાંધીની મિમિક્રી માટે પ્રખ્યાત રાજસ્થાનના શ્યામ રંગીલાએ પીએમ મોદીની વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રંગીલાએ કહ્યું કે તેને વારાણસીના લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને ત્યાંથી તેને સતત ફોન આવી રહ્યા છે. રંગીલાએ કહ્યું હતું કે તે પીએમ મોદીના અવાજનો ઉપયોગ કરીને લોકોને સંબોધિત કરશે અને વોટ માંગશે.

આ પણ વાંચોઃ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવા પડાપડી, પહેલા જ દિવસે 2 ફોર્મ ફરાયા તો 14એ ખરીદ્યા

Back to top button