કોલસા મંત્રાલયે ગુજરાતનાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણિજ્યિક હરાજી પર રોડ શોનું આયોજન કર્યું

ગાંધીનગર, તા. 3 માર્ચ, 2025: કોલસા મંત્રાલયે ગાંધીનગરમાં ‘કોલસા ક્ષેત્રમાં કોલસાની ખાણોની વાણિજ્યિક હરાજી અને તકો’ પર એક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં સરકાર, કોલસા ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યપ્રધાન સતીશ ચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલસા મંત્રાલયનાં અધિક સચિવ અને નિયુક્ત સત્તામંડળ શ્રીમતી રુપિન્દર બ્રાર તેમજ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.
આ રોડ શો સંભવિત રોકાણકારો સાથે જોડાવાના મંત્રાલયના સતત પ્રયાસોનો એક ભાગ છે, જેમાં વાણિજ્યિક કોલસાના ખનનમાં રહેલી વિશાળ તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને ઊર્જા સુરક્ષા અને કોલસા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરવામાં આવી છે.
કોલસા મંત્રાલયનાં અધિક સચિવ અને નિયુક્ત સત્તામંડળ શ્રીમતી રુપિન્દર બ્રારે પોતાનાં સ્વાગત પ્રવચનમાં ભારતનાં ઊર્જા ભવિષ્યને આકાર આપવામાં વાણિજ્યિક કોલસા ખનનની સંભવિતતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી ભારતની ઊર્જા સુરક્ષામાં કોલસો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ બની રહેશે, જે ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. તદુપરાંત, તેમણે જણાવ્યું હતું કે મંત્રાલય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરીને, નાણાકીય પ્રોત્સાહનો ઓફર કરીને અને વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં વધારો કરીને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સક્ષમ ઇકોસિસ્ટમને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી ક્લિયરન્સ ઝડપી બન્યું છે અને તમામ હિતધારકો માટે સમાન તક સુનિશ્ચિત થઈ છે.
સુશ્રી બ્રારે એ પણ નોંધ્યું હતું કે, કોલકાતાથી મુંબઈથી અમદાવાદ સુધીના રોડ શોની શૃંખલાએ રોકાણકારોને હરાજીના માળખા અને નીતિગત પરિદ્રશ્યમાં મૂલ્યવાન સમજ પૂરી પાડી છે. તેમણે પારદર્શક, રોકાણકારોને અનુકૂળ નીતિઓ માટે સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, સાથે સાથે અદ્યતન ખાણકામ ટેકનોલોજીઓ, કોલસાના ગેસિફિકેશન અને સ્થાયી ખનન પદ્ધતિઓને પ્રોત્સાહન પણ આપ્યું હતું.
મુખ્ય વક્તવ્યમાં કોલસા અને ખાણ રાજ્યમંત્રી શ્રી સતીશચંદ્ર દુબેએ પ્રગતિશીલ નીતિગત પગલાં મારફતે કોલસા ક્ષેત્રને મજબૂત કરવાની સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાણિજ્યિક ખાણ એક પરિવર્તનકારી પગલું છે, જે ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે નવા માર્ગો ખોલે છે અને કોલસાની આયાત પર ભારતની નિર્ભરતાને ઘટાડે છે.
Ministry of Coal Organizes Roadshow on Commercial Coal Mine Auctions in Gandhinagar, Gujarat. Details – https://t.co/hQs2mErrFD#CommercialCoalmining#Mineauctions#Opportunitiesincoalsector pic.twitter.com/l6RLm8hL3R
— Ministry of Coal (@CoalMinistry) March 3, 2025
દુબેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રયાસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભારતનાં વિઝન સાથે સુસંગત છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપવાની સાથે ઉદ્યોગોને સ્થિર અને સ્થાયીપણે કોલસોનો પુરવઠો સુનિશ્ચિત કરે છે. શ્રી દુબેએ ખાણકામદારો, સામુદાયિક કલ્યાણ અને પ્રાદેશિક વિકાસ માટે સુરક્ષાનાં પગલાં વધારવાની મંત્રાલયની કટિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો, જે સુનિશ્ચિત કરે છે કે કોલસાનું ખનન ઔદ્યોગિક વૃદ્ધિને ઇંધણ પૂરું પાડવાની સાથે રોજગારીનાં સર્જન, કૌશલ્ય વિકાસ અને સામાજિક માળખાગત પ્રોજેક્ટ્સ મારફતે સ્થાનિક સમુદાયોનું ઉત્થાન પણ કરે છે.
પ્રધાને પર્યાવરણની સ્થિરતા પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવાની પુનઃપુષ્ટિ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોલસાની ખાણની કામગીરીઓ કડક પર્યાવરણીય માપદંડો, જમીન સુધારણાની પ્રગતિશીલ પદ્ધતિઓ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કોલ ગેસિફિકેશન જેવી પહેલો સાથે સુસંગત છે. તેમણે હિતધારકોને ખાતરી આપી હતી કે, મંત્રાલય કોલસાની ખાણની કાર્યદક્ષ, સ્પર્ધાત્મક અને જવાબદાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે, જે પર્યાવરણીય કારભારી સાથે આર્થિક પ્રગતિને સંતુલિત કરે છે.
આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના પ્રતિનિધિઓને સરકારી અધિકારીઓ સાથે સીધી રીતે જોડાવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ચર્ચામાં નીતિગત માળખું, રોકાણ પ્રોત્સાહનો અને વાણિજ્યિક કોલસા ખનનના કાર્યકારી પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા, જે પારદર્શક અને વ્યવસાયને અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
પોતાની અડગ પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીને કોલસા મંત્રાલયે હિતધારકોને કોલસા ક્ષેત્રમાં સતત સાથસહકાર, નીતિગત સ્થિરતા અને નવીનતા સંચાલિત વૃદ્ધિની ખાતરી આપી હતી. ઇકોલોજિકલ જવાબદારી સાથે આર્થિક પ્રગતિને સંતુલિત કરે તેવા વિઝન સાથે ભારતનું લક્ષ્ય કોલસાની ખાણમાં વૈશ્વિક નેતા બનવાનું છે, જે ટકાઉ અને સમુદાય-સર્વસમાવેશક ઊર્જા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે.
આ પણ વાંચોઃ સુરતમાં પોલીસે 273 CCTV ચેક કરીને 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો