![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://humdekhenge.in/wp-content/uploads/2022/05/મમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમમ.jpg)
બનાસકાંઠાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખેંગારપૂરા-મહાજનપૂરા ખાતે નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. બનાસકાંઠાના દાંતીવાડા, ધાનેરા અને ડીસા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે થરાદના ખેંગારપૂરા ખાતે આ નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના આકાર પામી રહી છે. આ યોજનાને પરિણામે સીપુ ડેમ આધારિત હયાત સીપુ જુથ પાણી પુરવઠા યોજનામાં ધાનેરા તાલુકાનાં 77 ગામો અને ધાનેરા શહેર, દાંતીવાડા તાલુકાનાં 15 ગામો અને ડીસા તાલુકાનું 1 ગામ મળી કુલ- 93 ગામો અને 1 શહેરને પીવાના પાણીનો લાભ મળશે. તેમજ વિઠોદર-આગડોલ જુથ યોજનામાં ડીસા તાલુકાનાં 26 ગામો મળી કુલ- 119 ગામ અને 1 શહેરને સીપુ જુથ યોજના હેઠળના પાંથાવાડા ખાતેના હયાત 24 એમ.એલ.ડી. ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે મૂળ યોજના અંતર્ગત પીવાનું પાણી પુરૂ પાડવાની યોજના છે.
ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3 હેઠળનાં કામો ઉપરાંત 119 ગામો અને 1 શહેરના કનેક્ટીવીટી નેટવર્કના કામોનો સમાવેશ કરતી યોજનાને રૂ.241.35 કરોડની યોજના માટે મંજુરી મળી છે. તેનો લાભ આ 119 ગામો,શહેરની કુલ-5,99,521 વસ્તીને મળવાનો છે.ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3 હેઠળનાં કામો આગામી તા. 31 ઓગષ્ટ-2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સીપુ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાતા વરસાદની પેટર્ન જોતાં અનિયમિત અને અપૂરતો વરસાદ નોંધાવાના કારણે સીપુ ડેમમાં પાણીની આવક નહીવત પ્રમાણમાં થાય છે.
બનાસકાંઠાના થરાદ તાલુકાના ખેંગારપુરા ખાતે બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે નિર્માણાધીન સીપુ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના હેડ વર્કસની મુલાકાત લઇ ચાલી રહેલા કામોની માહિતી મેળવી. ધાનેરા-દાંતીવાડા-ડીસાના 119 ગામોની 6 લાખ જેટલી જનતાને આ યોજનાનો લાભ મળશે:@Bhupendrapbjp pic.twitter.com/gaq02dNX5u
— Hum Dekhenge News (@humdekhengenews) May 20, 2022
આમ, સીપુ ડેમ રીલાયેબલ સોર્સ ન હોઇ સીપુ ડેમ આધારિત આ 119 ગામો અને 1 શહેર પૈકી પાંથાવાડા હેડવર્કસ ખાતેથી 24 એમ.એલ.ડી ક્ષમતાના હયાત ફીલ્ટર પ્લાન્ટથી 57 ગામોને પાણી પુરૂ પાડવાનું અને બાકીના 62 ગામો તથા 1 શહેરની 40 એમ.એલ.ડી.પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે નર્મદા મુખ્ય નહેર ભાપી ઓફ્ટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અમલમાં મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદાના વધારાના વહી જતા પાણીમાંથી 1 મિલિયન એકર ફીટ પાણી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતને ફાળવવામાં આવ્યું છે. જે માટે કુલ 14 પાઈપલાઈન યોજનાઓના આયોજન પૈકી હાલમાં થરાદથી સીપુ જળાશય સુધીની પાઈપલાઈનની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના હેઠળ થરાદ તાલુકાના મહાજનપુરાથી રામસણ સુધીની 43.380 કિ.મી પાઈપલાઈન તેમજ રામસણથી સીપુ ડેમ સુધીની 25.336 કિ.મી પાઈપલાઈનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાજનપુરા, લાખણી તાલુકાના મડાલ અને ડીસા તાલુકાના રામસણ ખાતે મળી કુલ 3 પમ્પીંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ યોજના થકી કુલ 4 તાલુકાના 39 ગામોના 106 તળાવો જોડવાનું તથા આસોદર સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવાનું આયોજન છે.
મુખ્યમંત્રીની આ મૂલાકાત પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ પરબતભાઇ પટેલ, અગ્રણીઓ સર્વ રજનીભાઈ પટેલ, ગુમાનસિંહ ચૌહાણ, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.