જામનગરમાં મુખ્યમંત્રીએ લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી


રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.
રૂ.30 લાખના ખર્ચે તૈયાર થયું છે “વાયરસ સારવાર કેન્દ્ર”
ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50 હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં શહેરના લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે તેમજ વેક્સીનેશન અને પશુ એમ્બ્યુલન્સની સૂવિધા પણ ઊભી કરવામાં આવી છે. જ્યાં સુધી અસરગ્રસ્ત પશુ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા અંગેની પણ આ સેન્ટર પર કાળજી લેવામાં આવશે.
5405 પશુની ચાલી રહી છે સારવાર
જામનગર જિલ્લામાં નોંધાયેલા 1,38,176 પશુધન પૈકી અત્યાર સુધી 1,10,456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ અસરગ્રસ્ત તમામ 5405 પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન અનેક મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન પશુપાલન, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ. ભિમજીયાણી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પશુપાલન વિભાગના નાયબ નિયામક અને જામનગર જિલ્લાના નોડલ ઓફિસર ડો. અમિત કાનાણી, પશુપાલન વિભાગના અધિકારીઓ, જામનગર મહાનગપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.