ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, 17 દિવસની સફર વિશે જાણો

  • ઈસરોએ હાંસલ કરી મોટી સફળતા
  • ચંદ્રની ભ્રમણકક્ષામાં ચંદ્રયાન-3ની એન્ટ્રી
  • ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત

ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા એટલે કે લુનાર ઓર્બિટ પકડી લીધી છે.ઈસરો આને એક મોટી સફળતા માની રહ્યું છે.આ મામલે ખુદ ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા પકડી લીધી છે.હવે ચંદ્રયાન લગભગ 166 કિમી x 18 હજાર કિમીની ભ્રમણકક્ષામાં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા છે. ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું હતું. તેની સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટીમાં ફસાઈ ગયું હતું. હવે તે તેની ચારેકોર ચક્કર લગાવતો રહેશે.

ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં ધમાકેદાર એન્ટ્રી લીધી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનું આગળનું પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષાને ઘટાડવાનું છે. આ પ્રક્રિયા આજે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર ગયું હતું. લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સથી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે લેન્ડર અને રોવર
ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ મિશન દ્વારા ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે. તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે. મહત્વનું છે કે, ચંદ્રયાન-1ને વર્ષ 2008માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. 2019માં લૉન્ચ કરાયેલ ચંદ્રયાન-2 પણ સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું, પરંતુ જ્યારે તેનું લેન્ડર તેના ઇચ્છિત માર્ગથી ભટકી ગયું ત્યારે તેને ઝટકો લાગ્યો હતો.

આગામી 17 દિવસ આવી ચંદ્રયાન-3ની સફર
6 ઓગસ્ટ : રાત્રે 11 વાગ્યે ચંદ્રયાનની ઓર્બિટને 10થી 12 હજાર કિલોમીટરની ઓર્બિટમાં મૂકવામાં આવશે.
9 ઓગસ્ટ : બપોરે પોણા બે વાગ્યાની આસપાસ તેની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં ફેરફાર કરીને 4થી 5 હજાર કિલોમીટરની ઓર્બિટમાં મૂકવામાં આવશે.
14 ઓગસ્ટ : તેને ઘટાડીને 1000 કિલોમીટર કરવામાં આવશે. પાંચમી ઓર્બિટ મેન્યૂવરમાં તેને 100 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
17 ઓગસ્ટ : પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.
18 અને 20 ઓગસ્ટ: ડિઓર્બિટીંગ થશે. એટલે કે ચંદ્રની ઓર્બિટનું અંતર ઘટશે. લેન્ડર મોડ્યુલ 100 x 35 KMની ભ્રમણકક્ષા (ઓર્બિટ)માં જશે.
23 ઓગસ્ટ, 2023: સાંજે 5.47 કલાકે ચંદ્રયાનનું લેન્ડિંગ થશે. આ વખતે ગઈ વખત જેવી ભૂલ નહીં થાય. ચંદ્રયાન-3એ પોતે જ ટ્વીટ કરીને મૂન મિશનનું અપડેટ આપ્યું છે.

આ પણ વાંચો : ચંદ્રયાન-3 આજે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, જાણો હાલની સ્થિતિ

Back to top button