મોદી સરકારે ચંદ્રયાન-5ને મંજૂરી આપી દીધી, જાણો ક્યારે લોન્ચ થશે ચંદ્રયાન-4, ઈસરોના અધ્યક્ષે આપી જાણકારી


નવી દિલ્હી, 17 માર્ચ 2025: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ચંદ્ર પર સંશોધન કરવા માટે ભારતના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-5 ને મંજૂરી આપી દીધી છે. સરકારે તાજેતરમાં આ મોટો નિર્ણય લીધો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી. નારાયણને આ માહિતી આપી છે. આ સાથે, ભારતના ચંદ્રયાન-4 મિશન ક્યારે લોન્ચ થશે, તે અંગે પણ માહિતી સામે આવી છે.
જાપાનની મદદથી મિશન શરૂ કરવામાં આવશે
ઈસરોના ચેરમેન વી નારાયણને રવિવારે કહ્યું, “ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી ગઈ છે. અમે જાપાનના સહયોગથી આ કરીશું.” તેમણે કહ્યું કે ભારતના ચંદ્રયાન-5 મિશન હેઠળ, ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનો રોવર મોકલવામાં આવશે.
ચંદ્રયાન-૪ ક્યારે લોન્ચ થશે?
ઈસરોના ચેરમેન વી. નારાયણને રવિવારે ચંદ્રયાન-4 મિશન ક્યારે લોન્ચ થશે તેની માહિતી આપી. ઈસરોના ચેરમેને જણાવ્યું હતું કે ચંદ્રયાન-4 વર્ષ 2027 માં લોન્ચ થવાની શક્યતા છે. ઈસરોના ચેરમેને કહ્યું છે કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓ પાછા લાવવાનો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ભારતના ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનો છે. આ પહેલા ઈસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-૩ મિશનમાં ૨૫ કિલોગ્રામ વજનનું રોવર ‘પ્રજ્ઞાન’ લઈ જવામાં આવ્યું હતું. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ, ચંદ્રયાન-૩ ના લેન્ડર વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કર્યું.
આ પણ વાંચો: જે મારી સામે જાતીની વાત કરશે, તેને લાત મારીશ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહી દીધી મોટી વાત