ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે વિવિધતામાં એકતા થીમ પર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી

કેવડિયા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની શાનદાર ઉજવણી કરાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘યુનિટી ઈન ડાયવર્સિટી’ (વિવિધતામાં એકતા) ની થીમ પર એકતા પરેડ યોજાઈ હતી. વડાપ્રધાને ગુજરાત પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસસભર પરેડ નિહાળી હતી. આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું કે, જેમ 15મી ઑગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ, 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો પરેડ કાર્યક્રમ યોજાય છે તેમ હવે 31મી ઑક્ટોબરે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમના સમન્વય થકી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે.

Ekta divas_HD News
@InfoGujarat

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ દેશની આંતરિક સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેતા હતા. છેલ્લા નવ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને સુરક્ષા દળોએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી કામયાબ થવા દીધા નથી. કેવડિયાના વિકાસ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, કેવડિયાનું એકતા નગર સંકલ્પ દ્વારા સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે એકતા નગર ગ્લોબલ ગ્રીન સિટી તરીકે ઓળખાય છે. સરદાર સરોવર ડેમનું કામ પણ છ દશકાથી અટક્યું હતુ પરંતુ સૌના પ્રયાસથી આ કાર્ય પણ આપણે પૂર્ણ કર્યુ છે. છેલ્લા 15 વર્ષ પહેલા કોઈએ પણ વિચાર્યું નહતુ કે એકતાનગરનો આવો વિકાસ થશે.

Ekta divas_HD News
@InfoGujarat

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ભારત માટે આવનારા 25 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. ગર્વની વાત છે કે, આગામી સમયમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યું છે. આ સાથોસાથ તેમણે ચંદ્રયાન 3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે દેશની એકતા અને અખંડિતતાની સાથે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની પણ વાત કરી હતી. તેમણે દેશની ઝડપથી વધી રહેલી વિકાસ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓ પર પણ પ્રહાર કર્યા હતા.

ગરીબીમાં ઘટાડાનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 13.5 કરોડો ગરીબો ઘટ્યા છે. કોરોના બાદ વૈશ્વક અસ્થિરતામાં પણ ભારત દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. વિશ્વના અનેક દેશો બેરોજગારી તથા મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત તેના સખત અને સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કર્યા છે અને સમગ્ર વિશ્વમાં પરચમ લહેરાવ્યો છે.

 

પીએમ મોદીએ તેમના સંબોધન પહેલા 140 કરોડ દેશવાસીઓ વતી સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાજંલિ અર્પણ કરીને અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી. સરદાર સાહેબની પ્રતિમા  સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરીને તેમને ભાવસભર અંજલિ આપવામાં આવી હતી. એકતા પરેડની આગેવાની IPS 2020 બેન્ચના કોરૂકાંડા સિદ્ધાર્થે સાંભળી હતી. એકતા દિવસના શપથ લેવડાવી તેઓએ 196 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા. આ ઉપરાંત, કેવડિયાથી અમદાવાદ સુધીની હેરીટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ પીએમ એ આરંભ 5.0 અંતર્ગત 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

આ પણ વાંચો: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’ને કરાવી ફ્લેગ ઓફ

Back to top button