ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો ઉપર જ પેટા ચૂંટણી, કેમ 1 બાકી રખાઈ ?
![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![GUJARAT ASSEMBLY ELECTION](https://humdekhenge.in/wp-content/uploads/2022/11/11-9.jpg)
ગાંધીનગર, 16 માર્ચ : દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે આજે શનિવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પહેલા રાજીનામું આપવા અથવા કોઈ કારણોસર ખાલી પડેલી 6 બેઠકો પૈકી 5 બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જ્યારે કે 1 બેઠક ઉપર ચૂંટણીની જાહેરાત બાકી રાખવામાં આવી છે.
કઈ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે ?
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા માટે મતદાન 26 બેઠકો માટે થશે મતદાન જ્યારે 4 જૂનના રોજ મતગણના થશે. આ સાથે જ રાજ્યની વિધાનસભાની 5 બેઠકો માટે પણ 7 મેના રોજ પેટાચૂંટણી યોજાશે. આ માટે વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા તેમજ સૌરાષ્ટ્રમાં માણાવદર અને પોરબંદર વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાશે. આ માટેના નોમિનેશન ફાઈલ 19 એપ્રિલ સુધીમાં કરવાના રહેશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં નામ પાછા ખેંચી શકાશે. જ્યારે 7 મેના રોજ મતદાન યોજાશે જેના માટેની મતગણતરી 4 જૂનના યોજાશે. આ સાથે જ લોકસભાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
વિસાવદર બેઠક ઉપર નહીં યોજાઈ ચૂંટણી, જાણો કેમ ?
આજે લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર કરાઈ છે. જેમાં એક માત્ર વિસાવદર બેઠકની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી નહીં યોજાઈ શકે છે. કારણ કે, અહીં ભાજપના હારેલા ઉમેદવાર હર્ષદ રિબડીયાએ હાઇકોર્ટમાં અરજી કરેલી છે. જેમાં હર્ષદ રિબડીયાએ જીતેલા ઉમેદવાર ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.