ગુજરાત

ઉમરેઠ બસ સ્ટેન્ડમાં બસમાં આગ લાગતાં અફડાતફડી, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી

Text To Speech

આણંદઃ ઉમરેઠના બસ સ્ટેશનમાં બુધવાર બપોરે આવેલી દાહોદ – અમદાવાદ રૂટની બસમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરની કેબિનમાં જ એન્જિનનો ભાગ સળગતા અફડાતફડી મચી હતી. જો કે, બસમાં સવાર મુસાફરોને પાછળના ભાગની ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો.

ઉમરેઠ બસ સ્ટેશનમાં દાહોદ – અમદાવાદ રૂટની બસમાં ડ્રાઇવરના કેબિનમાં એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જેના પર ચાલકની નજર પડતાં તુરંત સમયસૂચકતા વાપરી બસમાં સવાર તમામ મુસાફરોને ઉતરી જવા બુમાબુમ કરી હતી. જેના પગલે આસપાસના મુસાફરો પણ દોડી આવ્યાં હતાં અને બસની પાછળના ભાગે રહેલી ઇમરજન્સી વિન્ડોમાંથી તાત્કાલિક મુસાફરોને નીચે ઉતારી લીધાં હતાં.

આ ઘટનાના પગલે એસટી વિભાગના અન્ય કર્મચારીઓ પાણીની ડોલ લઇ દોડ્યાં હતાં અને પાણી છાંટી આગ ભડકે તે પહેલાં મામલો કાબુમાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાયું હતું. જ્યારે ઘટના સમયે બસમાં 55 જેટલા મુસાફરો સવાર હતાં. આ બસ દાહોદથી અમદાવાદ જઇ રહી હતી.

Back to top button