મણિનગરમાં Burning BRTS: અફરાતફરીનો માહોલ


અમદાવાદના મણિનગર વિસ્તારમાં BRTSમાં આગની ઘટના બની છે. જોકે રાહતની વાત એ છે કે આ બસ ખાલી હતી. તેમાં કોઇ પેસેન્જર ન હોવાથી કોઇ જાનહાનિના સમાચાર નથી. BRTS બસ સ્ટોપ પાસે ખાલી બસમાં આગ લાગવાથી મણિનગર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ બન્યો છે. સળગતી બસને જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાઇ
મણિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સીએનજી બીઆરટીએસ બસ ઉભી હતી. એન્જિનના ભાગે આગ લાગી હોવાથી તે ધીમે ધીમે આગળ ફેલાઇ હતી. ફાયરબ્રિગેડને સમાચાર મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવાઈ હતી.
અગાઉ પણ બન્યા છે આગના બનાવ
અમદાવાદમાં પહેલીવાર BRTSમાં આગ લાગવાનો બનાવ બન્યો છે એવુ નથી. બે મહિના અગાઉ સપ્ટેમ્બર મહિનામાં મેમનગર ખાતે BRTSમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આખી બસ ભડકે બળી હતી. આ બસમાં 25 મુસાફરો સવાર હતા, પરંતુ બસમાં આગ લાગે તે પહેલા સમયસુચકતા વાપરીને ડ્રાઇવરે તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતા. જો તે દિવસે આ મુસાફરો સમયસર ન ઉતર્યા હોત તો મોટી જાનહાનિ થવી નિશ્વિત હતી.