ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં આ વર્ષે ૨૫૦ નવા મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે

  • ગુજરાતમાં વધશે પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ
  • ગુજરાતના તમામ ગામોમાં ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર
  • ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
  • ૨૫૦૦થી વધુ ગામને મળશે લાભ

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ વર્ષે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું– એ યોજના હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત સરકારની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે ૨૫૦ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે.

પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહ્યું છે. પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે ૫,૩૦૦ થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, આ નેમ પરિપૂર્ણ કરવા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં જ નવા ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના ૨૦૦ નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને ૫૦ નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. આ યોજના માટે કુલ રૂ. ૧૭.૭૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

પશુપાલન મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, નવા ૨૫૦ ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ ૨૫૦૦ જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં ઓન કોલ ૧૯૬૨ નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે. કુદરતી હોનારત અને રોગચાળો ફાટી નીકળે તેવી વિકટ સ્થિતિમાં પણ રોગચાળા નિયંત્રણની કામગીરી માટે આ ફરતાં પશુ દવાખાના ઉપયોગી સાબિત થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ કચ્છ ખાતે પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે : સરકારની જાહેરાત

Back to top button