સોમનાથ મહાદેવને માત્ર રૂ.21માં ચડાવી શકાશે બીલીપત્ર, ઓનલાઈન પણ થશે બિલ્વ પૂજા સેવા


સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે “બિલ્વપુજા સેવા”લોન્ચ કરી છે. અહી માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે કોઈ પણ ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ, સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે અને સોમનાથ યાત્રાધામના સર્વગ્રાહી વિકાસ માટે સતત માર્ગદર્શન આપી અનેક સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવી રહ્યા છે તેમની પ્રેરણાથી આ બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કેવી રીતે ભક્તો આ દર્શનનો લ્હાવો લઈ શકશે ?
શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના આપેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે. આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે.