ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારઃ છ દિવસથી લાપતા પૂજારીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતાં હાહાકાર

  • શિવમંદિરના પૂજારીનો મૃતદેહ ગામની ઝાડીઓમાંથી મળી આવતાં દાનાપુરમાં હાહાકાર
  • ગામ લોકોએ ભેગા થઈને પોલીસ પર પથ્થરમારો કર્યો અને લગાવ્યો આરોપ

બિહાર, 17 ડિસેમ્બર: બિહારના ગોપાલગંજમાં એક પૂજારીની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પૂજારીની હત્યા બાદ હત્યારાઓએ તેમની બંને આંખો પણ કાઢી નાખી હતી. જ્યારે પૂજારીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે સ્થાનિક લોકોએ NH-27 પર હોબાળો મચાવ્યો હતો. તેઓએ આગ લગાવી અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેમજ પોલીસના વાહનને પણ નુકસાન થયું હતું.

આ દરમિયાન પોલીસે એરિયલ ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક પૂજારીની ઓળખ દાનાપુર ગામના રહેવાસી મનોજ કુમાર તરીકે થઈ છે. હાલમાં સદર એસડીપીઓ પ્રાંજલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નારાજ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પૂજારી છ દિવસથી લાપતા હતા

દાનાપુર ગામના પુજારી મનોજ કુમાર તેમના ઘરથી એક કિલોમીટર દૂર આવેલા શિવ મંદિરમાં પૂજા કરતા હતા. તેઓ લગભગ છ દિવસ પહેલા ઘરેથી મંદિરે પૂજા કરવા ગયા ત્યારે પછી તેઓ પાછા ફર્યા ન હતા. અચાનક ગાયબ થઈ જતાં પરિવાર તેમજ ગામવાસીઓએ શોધખોળ પણ કરી હતી. શોધખોળ બાદ પણ પૂજારીનો પત્તો ન મળતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.

છ દિવસે પૂજારીની મૃતદેહ ગામની ઝાડીમાં પડેલો મળી આવ્યો

છ દિવસ પહેલાં ગુમ થયેલા પૂજારી મનોજનો મૃતદેહ તેમના ગામની ઝાડીઓમાં પડેલો મળી આવતાં મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા અને પોલીસની બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર આરોપ લગાવ્યો કે પોલીસની બેદરકારીને કારણે પૂજારીની હત્યા થઈ છે.

પોલીસ પર કર્યો પથ્થરમારો

હત્યાની માહિતી મળતાની સાથે જ માંઝાગઢ પોલીસ સ્ટેશનના વડા દિનેશ કુમાર યાદવ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં એકઠી થયેલી ભીડે પોલીસ પર પથ્થરમારો કરીને આક્રોષ વ્યકત કર્યો હતો. પથ્થરમારામાં બે કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો અને પોલીસની જીપને નુકસાન થયું હતું. ત્યારે બાદ પોલીસે લાઠીચાર્જની સાથે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

પૂજારીની મૃતદેહ જોઈ સૌ કોઈ ભડક્યા

પૂજારી મનોજ કુમારની હત્યા એટલી ક્રુરતાથી કરવામાં આવી હતી કે મૃતદેહ જોઈ સૌ કોઈ ગામવાસી ભડક્યા હતા. પૂજારીને ગોળી માર્યા બાદ ગુનેગારોએ તેમની બંને આંખો કાઢી નાખી અને તેના પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યા હતા. હત્યારા કોણ છે અને કયા વિવાદને લઈને આવી ક્રુરતાથી હત્યા કરવામાં આવી તે હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: નક્સલી હુમલામાં એક જવાન વીરગતિ પામ્યા, છત્તીસગઢમાં છેલ્લા 4 દિવસમાં ત્રીજી ઘટના

Back to top button