મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી આ કરવું ફરજિયાત


ગાંધીનગર, 22 માર્ચ : ગુજરાતમાં જમીન-મકાન સહિતની મિલકત નોંધણીમાં થતી છેતરપિંડી રોકવા માટે રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણી પ્રથામાં કેટલાક ફેરફાર કરતો પરિપત્ર બહાર પાડ્યો છે અને આ નવી વ્યવસ્થાનો આગામી તા.1 એપ્રિલથી અમલ કરવામાં આવનાર છે.
રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, હવેથી મિલકતની નોંધણી માટે રજૂ કરવામાં આવતા દસ્તાવેજોમાં મિલક્તના ફોટોગ્રાફ અને અક્ષાંશ-રેખાંશ દર્શાવવા ફરજિયાત રહેશે.
આ પરિપત્રનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, દસ્તાવેજોમાં મિલકતને એક સાઇડથી (Side view) તથા સામેની બાજુથી (Front View) લીધેલ 5×7 સાઈઝને કલર ફોટોગ્રાફને મિલક્તના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત પૃષ્ટ ઉપર ચોંટાડવાના રહેશે. ફોટોગ્રાફની નીચે મિલકતનું પોસ્ટલ સરનામું લખી, દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોએ પોતાની સહી કરવાની રહેશે.
આ ઉપરાંત, ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજૂ થાય ત્યારે, દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે, તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટોગ્રાફમાં/ફોટોવાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે. જે ફોટોગ્રાફમા/ફોટોવાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલ નહીં હોય, તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે નહીં.
સરકારના જણાવ્યા અનુસાર, અમુક કિસ્સાઓમાં સ્થળ ઉપર બાંધકામ હોવા છતાં પણ ખુલ્લી જમીનના ફોટોગ્રાફ દસ્તાવેજમાં મિલક્તના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે. જેનાથી સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં નુકસાન થાય છે અને છેતરપિંડીની ઘટનાઓ બને છે. તાજેતરમાં આવા છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે.
આ પણ વાંચો :- નાગપુર હિંસા : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી મોટી જાહેરાત, આરોપીઓ સામે થશે આ કાર્યવાહી