ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ, 100 ટકા ભરાતા હાઈએલર્ટ મેસેજ


સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ આકાશી આફત બનીને વરસી રહ્યો છે. ત્યારે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદના કારણે 100 ટકા ભરાઈ ગયો છે. ડેમ છલોછલ ભરાવવાના કારણે શેત્રંજી સિંચાઈ યોજના માટે હાઈએલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે.

નદીના પટ-કાંઠા વિસ્તારના લોકો માટે એલર્ટ
શેત્રુંજી સિંચાઈ યોજનામાં 100 ટકા પાણી ભરાયેલા હોવાથી આ સિંચાઈ યોજના માટે નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અન્વયે હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર-જવર કરવી નહીં.
પાણી છોડાતા આ ગામોને થશે અસર
ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાવનગર જિલ્લાના નાની-રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા, ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર સહિતના ગામોને અસર થશે.
શેત્રુંજી ડેમની હાલની સ્થિતિ
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં શેત્રુંજી ડેમમાં હાલમાં પાણીની સપાટી માત્ર 34 ફૂટ જ ભરાવવાની બાકી છે. ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જેથી, સતર્કતાના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે.