અમદાવાદગુજરાત

વિકસિત ભારત સંકલ્પયાત્રાઃ મુખ્યમંત્રીએ યાત્રાના કર્મયોગીઓ સાથે સંવાદ કર્યો

અમદાવાદ, 2 જાન્યુઆરી 2023, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંગળવારે રાજ્યના ખેડા, અમદાવાદ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી યાત્રામાં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથિઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મયોગીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો.

વડાપ્રધાનનો નવતર વિચાર પાર પડી રહ્યો છે
તેમણે કહ્યું કે, દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામ્યસ્તર સુધી સરકારને લઈ જવાનો વડાપ્રધાનનો નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે. લોકોમાં હવે વિશ્વાસ અને ભરોસો જાગ્યો છે કે મોદીજીની ગેરંટીનો આ રથ તેમના ગામમાં આવતાં જ સરકારની યોજનાના લાભ તેમને મળશે.મુખ્યમંત્રીએ જે લોકોએ આવા લાભ મેળવ્યા છે, તેમને અનુરોધ પણ કર્યો કે તેમની આસપાસના જે લોકો લાભ લેવાથી વંચિત રહ્યા છે તેમને પણ કલ્યાણ યોજનાઓનો લાભ અપાવે અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય મેળવે.

ભારત સંકલ્પ યાત્રા રથના ચાલક સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પટેલે ખેડા જિલ્લામાં પહોંચેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથના ચાલક સાથે તેમને યાત્રા દરમિયાન થયેલા અનુભવો, યોજનાઓ વિશે જાણવા સમજવાની લોકોની ઉત્સુકતા અંગે તથા દોઢ-બે મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી ગામડાઓ ખૂંદતા આ સારથીની સેવાપરાયણતા અંગે લાગણીસભર સંવાદ કર્યો હતો.ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવનું નિદર્શન આપતા ડ્રોન ઓપરેટર પાસેથી ગ્રામીણ ખેડૂતો દ્વારા થતા અનુભવો અંગેની માહિતી પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.

વિસ્તૃત વિગતો પંચાયત અગ્ર સચિવ મોના ખંધારે આપી હતી
તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાનનો વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત હંમેશાંની જેમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત દ્વારા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના ૧૨,૫૦૦થી વધુ ગામોમા પૂર્ણ થઈ છે. ૧૧ હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી છે. આ ઉપરાંત ૧૧,૩૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં લેન્ડ રેકર્ડ ડિજિટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે અને ૧.૬૬ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અને ૨૬.૩૫ લાખથી વધુ પ્રધાનમંત્રી જનઆરોગ્ય પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે, તેની વિસ્તૃત વિગતો પંચાયત અગ્ર સચિવ મોના ખંધારે આપી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં સિટી બસ સેવા શરૂ થતાં ડ્રાઈવરો વિફર્યા, પોલીસ પર હુમલો કરનાર 19ની અટકાયત

Back to top button