કાલે 23મી જાન્યુઆરીએ આ રાજ્યોમાં બેંકો રહેશે બંધ, જાણો કારણ


નવી દિલ્હી, 22 જાન્યુઆરી : આવતીકાલે એટલે કે 23મી જાન્યુઆરીએ તમામ બેંકોમાં રજા રહેશે. SBI જેવી સરકારી બેંકોથી લઈને HDFC જેવી ખાનગી બેંકો આવતીકાલે બંધ રહેશે. જો કે એવું નથી કે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. ગુરુવારે માત્ર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ત્રિપુરામાં બેંક રજા રહેશે. આ સમયગાળા દરમિયાન, ઑનલાઇન બેંકિંગ સામાન્ય રીતે ચાલુ રહેશે.
આ કારણોસર બેંકોમાં રહેશે રજા
આવતીકાલે 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ અને વીર સુરેન્દ્ર સાંઈ જયંતિ છે, તેની યાદમાં બેંકોમાં રજા રહેશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરીને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 23 જાન્યુઆરીએ વીર સુરેન્દ્ર સાંઈની જન્મજયંતિ પણ ઉજવવામાં આવે છે. વીર સુરેન્દ્ર ઓડિશાના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી નાયક હતા.
25-26ના રોજ પણ બંધ રહેશે બેંક
25 અને 26 જાન્યુઆરીએ પણ બેંકો બંધ રહેશે. 25મીએ શનિવાર અને 26મીએ રવિવાર છે. વર્તમાન સિસ્ટમ હેઠળ, બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જો કે, બેંક કર્મચારીઓ દર શનિવારને સાપ્તાહિક રજા તરીકે જાહેર કરવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા એવું માનવામાં આવતું હતું કે બેંક કર્મચારીઓની આ માંગ પૂરી થઈ શકે છે, પરંતુ એવું થયું નહીં.
ઓનલાઈન બેંકિંગ ચાલુ રહેશે
બેંક રજાઓ દરમિયાન પણ ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ જેવી સેવાઓ બેંકની મોબાઈલ એપ અને ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા મેળવી શકાય છે.
આ પણ વાંચો :- સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઈ શકે છે જપ્ત! જાણો સમગ્ર મામલો