ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી ખાતે શરદોત્સવ યોજાશે, મહાઆરતીમાં 30 હજારલોકો દીવડા લઈ ભાગ લેશે

Text To Speech

પાલનપુર : શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના સુચારુ આયોજન અને તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કમ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવાની સાથે માં અંબાના શરદોત્સવની તૈયારીઓની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આસો સુદ નવરાત્રીનું અનેરું મહત્વ છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. મા અંબાના ચાચર ચોકમાં નવરાત્રીના નવ-નવ દિવસ સુધી માઇભક્તો ગરબે ઘૂમ્યા હતા. શક્તિપીઠ અંબાજી ખાતે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબાના દર્શન માટે આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાને રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરદ પૂનમના દિવસે મહાઆરતીના આયોજન દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

મહાઆરતીના આ અવસર નિમિત્તે ચાચર ચોક, ગબ્બર તળેટી, તથા મંદિર આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાળુઓ હાથમાં દિવા લઈ મહાઆરતીમાં જોડાશે. રાત્રે 8 વાગે આયોજીત મહાઆરતીમાં અંદાજીત ૩૦ હજાર જેટલાં માઇભક્તો ભાગ લઈ મા અંબાની આરતી ઉતારશે. ઉપરાતં ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ સંગીતમય પ્રસ્તુતિ સાથે ચાચર ચોકમાં ગરબા યોજવામાં આવશે. મહાઆરતીના આ સુંદર કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓને ભાગરૂપે યોજાયેલી બેઠકમાં કલેકટર દ્વારા કાર્યક્રમના સ્થળે કાયદો વ્યવસ્થા, સફાઈ, ટ્રાફિક, કોવિડ ગાઈડલાઈનનું પાલન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાય એ પ્રકારનું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button