બનાસકાંઠા : ગૌ શાળાના 500 કરોડ ન ચૂકવતા સંતોએ આપી ચીમકી


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ભાભરની હરિધામ ગૌશાળા ખાતે બુધવારે બપોરે સંત સંમેલન યોજાયું હતું. જેમાં સરકારે અગાઉ જાહેર કરેલ 500 કરોડ રૂપિયાની સહાય 6 માસ પણ પછી બાદ પણ ન ચૂકવતા હવે સંતોએ સાત દિવસમાં ચૂકવી આપવાની ચીમકી આપી હતી. આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના બજેટમાં ગૌમાતા પોષણ યોજના હેઠળ ગુજરાતની તમામ રજીસ્ટર ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશો તેમજ પશુઓના નિભાવ માટે રૂ. 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાની જાહેરાત કર્યા પછી સરકારે છ માસનો સમય વિત્યા બાદ પણ આ યોજનાની અમલવારી કરી ન હતી.
ગૌ શાળાઓને 500 કરોડ ચૂકવવા સંતોનું સાત દિવસનું અલ્ટીમેટમ
જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવા છતાં સરકારે કોઈ હકારાત્મકતા કાર્યવાઈ ન કરતા બુધવારે ભાભર હરીધામ ગૌશાળા ખાતે ગુજરાતભરની 1700 ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌમાતા અધિકાર માટે વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગૌશાળા સંચાલકો તેમજ સંતો- મહંતોએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં ગૌ શાળા તેમજ પાંજરાપોળમાં બહારથી આવતા દાનની આવકમાં ઘટાડો થઇ ગયો છે. બીજી તરફ લમ્પી વાયરસના કારણે ગૌ માતાની હાલત કફોડી બની છે.
જેથી ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારે જાહેર કરેલ રૂ. 500 કરોડની સહાય વહેલી તકે આપવાની માંગ કરી છે. સંતો ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર સાત દિવસમાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો સહાય નહી આપે તો આવનારી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેમજ તમામ ગૌશાળા અને પાંજરાપોળની ગાયો અને પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકાશે.