બનાસકાંઠા: ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ


પાલનપુર: ડીસામાં ઈદ અને પરશુરામ જયંતિ હિન્દુ અને મુસ્લિમ સમાજના બંને તહેવારો એક જ દિવસે સાથે હોવાના કારણે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા શાંતિ અને સલામતી માટે બેઠક યોજવામાં આવી હતી.
ઈદ અને પરશુરામ જયંતિ એક જ દિવસે હોવાથી લોકોને અપીલ
આગામી 22 એપ્રિલના રોજ ઈદ અને પરશુરામ જયંતિ બંને તહેવારો એક જ દિવસે છે. હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોના તહેવારના દિવસે શાંતિ જળવાઈ રહે તે માટે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સલામતીની બેઠકનું આયોજન કરાયું હતું. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, નગરસેવકો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવસે ઈદ હોવાથી સવારે મુસ્લિમ સમાજના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવશે. જ્યારે પરશુરામ જયંતિ નિમિત્તે પણ દિવસ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે. ત્યારે બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. જ્યારે બંને ધર્મના આગેવાનોએ પણ શાંતિથી કોમી એખલાસની ભાવનાથી આ બંને તહેવારોની ઉજવણી કરશે તેવી ખાતરી આપી હતી.
આ પણ વાંચો :અતીક અહેમદની પત્નીનો બુરખા વગરનો પહેલો વીડિયો