ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

95 બાળકોને બિહારથી યુપી લઈ જવાયા, પોલીસે મૌલવીની ચુંગાલમાંથી છોડાવ્યા

લખનૌ (ઉત્તર પ્રદેશ), 27 એપ્રિલ: ઉત્તર પ્રદેશના બાળ આયોગે શુક્રવારે 95 બાળકોને બચાવી લીધા છે. જેમને કથિત રીતે બિહારથી ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદ મદરેસામાં લઈ જવામાં આવી રહ્યાં હતાં. પોલીસે બાળકોને લઈ જતી બસ રોકી તો જાણવા મળ્યું હતું કે, આ તમામ બાળકો બિહારના અરરિયાના રહેવાસી છે. મહત્ત્વનું છે કે, બાળકોને આ રીતે લઈ જવાતા હોવાની માહિતી અયોધ્યા પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે કોતાવલી નગર પાસે ખાનગી બસ રોકીને તપાસ કરી હતી. બસના ડ્રાઈવર, ક્લીનર અને બસમાં હાજર મૌલવીની પૂછપરછ કર્યા બાદ તમામ મુસ્લિમ બાળકોને બિહાર ચિલ્ડ્રન પોલીસ લાઈનમાં લાવવામાં આવ્યાં હતાં અને તેમના આધાર કાર્ડની તપાસ કરવામાં આવી હતી.

બિહારથી યુપીના મદરેસામાં લઈ જવામાં આવી રહ્યા હતા

અયોધ્યા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સર્વેશ અવસ્થીએ કહ્યું કે શુક્રવારે સવારે યુપી બાળ આયોગના સભ્ય સુચિત્રા ચતુર્વેદી પાસેથી માહિતી મળ્યા બાદ CWC સભ્યોએ બાળકોને બચાવ્યાં. સવારે લગભગ 9 વાગે યુપી ચાઈલ્ડ કમિશનના સભ્ય સુચિત્રા ચતુર્વેદીએ ફોન કરીને માહિતી આપી કે બિહારના સગીર બાળકોને ગેરકાયદે રીતે સહારનપુર લઈ જવામાં આવી રહ્યાં છે અને તેઓ હાલમાં ગોરખપુરમાં છે અને અયોધ્યા થઈને જશે.

NCPCRના સભ્યએ X પર આપી આ અંગે માહિતી

નેશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ X પર એક પોસ્ટમાં બાળકોને બચાવવાના સમાચાર શૅર કર્યા હતા. તેમના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, બિહારથી અન્ય રાજ્યોમાં મદરેસામાં મોકલવામાં આવતાં માસૂમ બાળકોને NCPCRની સૂચનાને આધારે ઉત્તર પ્રદેશ રાજ્ય ચિલ્ડ્રન કમિશનની મદદથી ગોરખપુરમાં બચાવી લેવામાં આવ્યાં છે. ભારતના બંધારણે દરેક બાળકને શાળાએ જવું ફરજિયાત છે, આવી સ્થિતિમાં ગરીબ બાળકોને ધર્મના આધારે પૈસા કમાવવા માટે અન્ય રાજ્યોમાં લઈ જવા અને મદરેસાઓમાં રાખવા બંધારણનું ઉલ્લંઘન છે.

બાળકોની ઉંમર 4-12 વર્ષની વચ્ચે છે

યુપી ચાઈલ્ડ કમિશનના સભ્યે કહ્યું કે, અમે બાળકોને બચાવ્યાં અને તેમને ખોરાક અને તબીબી સહાય આપવામાં આવી. બાળકોની ઉંમર 4 થી 12 વર્ષની વચ્ચે છે અને તેમાંના મોટા ભાગનાએ કહ્યું કે તેઓ જાણતા નથી કે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે. વાલીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને માતા-પિતા આવ્યા બાદ બાળકોને સોંપવામાં આવશે. જો કે, બાળકોને દેવબંદ કેમ લઈ જવામાં આવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ કરતી ગેંગનો પર્દાફાશ, CBIએ બે નવજાત સહિત 8 બાળકોનું કર્યું રેસ્ક્યૂ

Back to top button