ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી બેઠક ન્યુ કમલમ ખાતે યોજાઈ

  • વિધાનસભાના અધ્યક્ષ પદના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીને શુભેચ્છા પાઠવાઈ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારી બેઠક આજે ના રોજ બપોરે 2 કલાકે ચડોતર ન્યુ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. બેઠકમાં ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિન્હ ચૌહાણે શંકરભાઇ ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમને સમગ્ર જિલ્લા સંગઠન તરફથી શુભેછાઓ પાઠવી હતી. આ પ્રસંગે શંકરભાઇ ચૌધરીએ પોતાના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મારી મા છે, અને મારી મા એ મને મોટો કર્યો છે.

તેમણે રાધનપુરના પ્રથમ ઇલેકશનથી લઇ પ્રદેશ યુવા મોરચામાં રહીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તમામ ગુજરાત ભ્રમણ કરી જે કામગીરી કરી તે મારા નવ જીવનનું ઘડતરરૂપ સાબિત થયું અને ત્યારબાદ પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી અને ફરી ધારાસભ્ય બની મંત્રી બન્યા અને આજે કોર કમિટીના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું. પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને થરાદથી ચૂંટણી લડાવી ધારાસભ્ય તરીકે વિજય થતા મને ગુજરાત વિધાનસભાના સર્વોચ્ચ પદના અધ્યક્ષના ઉમેદવાર તરીકે માટે મારી પસંદગી કરી છે, તે માટે હું તમામ પ્રદેશના આગેવાનો નો આભાર માનું છું.

શંકરભાઇ ચૌધરી-humdekhengenews

તેમને વધુમાં જણાવ્યું હતું કે, અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થયા બાદ પણ થરાદની જનતાને મેં આપેલા વચનો ઝડપી પુરા થાય તે દિશામાં કામ કરીશ. અધ્યક્ષ તરીકે તેમને કેવું કામ કરવાનું થાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જિલ્લાના આગેવાનોને તેમના કોઈપણ પ્રશ્નોનું સંવિધાનિક રીતે નિરાકરણ લાવી શકાય તેવી બનતી તમામ કોશિશ કરીશ. તેમણે જણાવ્યું હતું કે, અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થતા પહેલા મારે પાર્ટીમાંથી રાજીનામુ આપવાનું કહેતા તેમને પોતાની મનની વ્યથા વર્ણવી હતી ને કહ્યું “જેમ દીકરી પોતાનું ઘર છોડી સાસરે જાય અને પોતાના પિયર છોડવાનું જે દુઃખ તેને હોય તેવી જ વ્યથા મારી છે.”

આ પ્રસંગે પ્રભારી નંદાજી ઠાકોર, જિલ્લા અધ્યક્ષ ગુમાનસિહ ચૌહાણ, સંસદ પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવડીયા, નૌકાબેન પ્રજાપતિ, મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર, કનુભાઈ વ્યાસ, કૈલાશભાઈ ગહેલોત, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી સહીત પૂર્વ સંસદ સભ્યો અને પૂર્વ ધારાસભ્યો સાથે જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શંકરભાઇ ચૌધરીને શુભેછાઓ પાઠવી હતી.

Back to top button