બકરી ઇદ નમાઝઃ જાણો સમય અને કુરબાનીનું મહત્ત્વ
- બકરી ઇદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરશે
- દરેક શહેરમાં અલગ હોઇ શકે છે નમાઝનો સમય
- કુરબાની તરીકે આપવામાં આવે છે બકરાની બલી
ભારતમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર 29 જૂન 2023, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો નમાજ અદા કરે છે. સામાન્ય રીતે બકરી ઇદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે મસ્જિદો અથવા ખુલ્લા વિસ્તારોમાં એકઠા થાય છે
શું છે નમાઝનો સમય
ઇદ ઉલ અઝહાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે ઈદ ઉલ અઝહાના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે. બકરી ઇદના દિવસે ઈદગાહમાં સવારે 7.15 કલાકે નમાઝ અદા કરવામાં આવશે. સાથે જ જામા મસ્જિદમાં સાંજે 6.45 કલાકે નમાજ અદા કરવામાં આવશે.
કેમ કરાય છે બકરાના ત્રણ ભાગ
કુરબાની તરીકે બકરાની બલી આપવામાં આવે છે. ત્યારબાદ બકરાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલો ભાગ ઘર માટે, બીજો ભાગ નજીકના લોકો માટે અને ત્રીજો ભાગ જરૂરિયાતમંદ અથવા ગરીબને આપવામાં આવે છે. બકરી ઈદનો પર્વ ભલાઈના રસ્તા પર ચાલતા શીખવાડે છે.
શું છે બકરાની કુરબાનીનું મહત્ત્વ?
ઇસ્લામ માન્યતા અનુસાર પયગંબર હઝરત ઇબ્રાહિમથી જ કુરબાનીની પ્રથા શરુ થઇ હતી. કહેવાય છે કે અલ્લાહે એકવાર પૈગંબર ઇબ્રાહિમને કહ્યું હતું કે તેઓ પોતાનો પ્રેમ અને વિશ્વાસ સાબિત કરવા પોતાની સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરે અને માટે પયગંબર ઇબ્રાહિમે પોતાના એકના એક દીકરાની કુરબાની આપવાનો નિર્ણય કર્યો હતો. હજરત ઈબ્રાહિમ પોતાના પુત્ર ઈસ્માઈલને સૌથી વધારે પ્રેમ કરતા હતા, પરંતુ જ્યારે અલ્લાહે પોતાની પ્યારી વસ્તુની કુરબાનીની વાત કરી તો પોતાના પુત્રને કુરબાન કરવા માટે તૈયાર થયા હતા.
આમ જ્યારે હજરત સાહેબ પોતાના પુત્રની કુરબાની આપવા જઇ રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં શૈતાન મળ્યા અને બોલ્યા કે તે પોતાના પુત્રની જગ્યાએ કોઈ જાનવરની કુરબાની આપી શકે છે. હજરત સાહેબે વિચાર્યું કે આવું કરવાથી અલ્લાહને દગો થશે અને તેમના હુકમની નાફરમાની થશે, પછી તેમણે પોતાના પુત્રને કુર્બાન કરવાનું યોગ્ય સમજ્યું. તેઓ પોતાના પુત્રને લઇને આગળ વધી ગયા હતા.
પુત્રની કુરબાની આપતા સમયે તેમણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. જેથી પુત્ર મોહ અલ્લાહના રાહમાં બાધા ન બને. કુરબાની બાદ જ્યારે તેમણે પોતાની આંખ પરથી પટ્ટી હટાવી અને દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. કારણે તેમનો પુત્ર સહી સલામ ઊભો હતો. તેની જગ્યાએ એક ડુમ્બા (એક પ્રકારનો બકરો) કુરબાન થયો હતો. ત્યારથી બકરાની કુરબાની આપવાનું ચલણ શરુ થયું હતું.
આ પણ વાંચોઃ વરસાદમાં મચ્છરોને દુર રાખવા હોય તો અપનાવો ઘરગથ્થુ નુસખા