ટ્રેન્ડિંગધર્મનેશનલશ્રી રામ મંદિર

અયોધ્યા: ક્યાં સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ભવ્ય રામ મંદિર?

  • બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાને લઈને આપી મહત્વની માહિતી

અયોધ્યા, 25 જૂન: રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સોમવારે કહ્યું કે રામ મંદિરનો પહેલો માળ આ વર્ષે જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે અને આશા વ્યક્ત કરી કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2024 સુધીમાં સંપુર્ણ થઈ જશે. મિશ્રાએ અયોધ્યામાં પત્રકારોને કહ્યું, “નિર્માણ હેઠળ મંદિરના પહેલા માળનું કામ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જુલાઈ પછી હવે માત્ર બીજા માળનું બાંધકામ બાકી રહેશે. તેથી, અમે આશા રાખીએ છીએ કે મંદિરનું નિર્માણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.’

ભક્તોના કપાળ પર તિલક ન લગાવવા વિશે શું કહ્યું?

મિશ્રાએ કહ્યું કે રાજસ્થાનના માર્બલનો ઉપયોગ ‘રામ દરબાર’ અને સાત મંદિર બનાવવા માટે કરવામાં આવશે અને આ માટે ચાર શિલ્પકારોની પસંદગી પણ કરવામાં આવી છે. રામ મંદિરમાં આવનારા ભક્તોના કપાળ પર તિલક ન લગાવવાને લઈને મીડિયાના એક વિભાગમાં ઉભા થયેલા વિવાદ પર મિશ્રાએ કહ્યું, “પહેલા જે ભક્તો આવતા હતા તેઓને તિલક લગાવવામાં આવતું ન હતું. તેઓ ભગવાનના દર્શન કરીને વિદાય લેતા હતા. બીજા દરવાજેથી આવેલા અમુક ખાસ લોકોને જ તિલક લગાવવામાં આવ્યું હતું. મિશ્રાએ કહ્યું, “તેથી એ કહેવું સંપૂર્ણપણે ભ્રામક છે કે ભગવાનનું તિલક અને ચરણામૃત આપવામાં આવતું નથી. કોઈ નવા નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવામાં આવે છે, પછી તે સામાન્ય ભક્ત હોય કે કોઈ ખાસ.”

23 જૂન સુધીમાં 1.75 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

મિશ્રાએ કહ્યું કે 22 જાન્યુઆરીથી 23 જૂન સુધીમાં 1.75 કરોડથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવ્યા છે. તેમણે કહ્યું કે મંદિરમાં દરરોજ સરેરાશ એક લાખ ભક્તો દર્શન માટે આવે છે. તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં એવી આશા છે કે બે કરોડ ભક્તો મંદિરમાં દર્શન માટે આવી જશે.

પીએમ મોદીની હાજરીમાં થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

આ વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. મોદીએ ભવ્ય મંદિર બનાવવા અને આગામી 1,000 વર્ષ માટે “મજબૂત, સક્ષમ અને દિવ્ય” ભારતનો પાયો નાખવાની પણ હાકલ કરી હતી. પરંપરાગત નાગારા શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું છે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે. મંદિરના સ્તંભો અને દિવાલો પર હિંદુ દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે.

આ પણ વાંચો: દેશના સૌથી મોટા એરપોર્ટનું કામ ક્યારે પૂરું થશે, ફ્લાઈટ્સ શરુ થવાની તારીખો થઇ જાહેર

Back to top button